Rohit Sharma’s 13-year-old Post Goes Viral: ગત રવિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની સિલેક્શન સમિતિના ચીફ અજિત અગરકરે શુભમન ગિલને વન-ડે ફોર્મેટ (ODI) ના કેપ્ટન તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી ત્યારે ટીમ ઇન્ડિયામાં એક યુગનો અંત આવ્યો. આ સાથે જ રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય પર પણ સવાલો ઉઠવા લાગ્યા. જોકે, BCCI નો આ નિર્ણય ચોંકાવનારો હતો, કારણ કે, રોહિતે ભારતના વન-ડે કેપ્ટન તરીકે કોઈ ભૂલ નહોતી કરી. જોકે, BCCIના પોતાના કારણો હતા. તેમનો તર્ક સ્પષ્ટ હતો. તેઓ 2027ના વર્લ્ડ કપ માટે ગિલને તૈયાર કરવા માગતા હતા.
પરંતુ રોહિત શર્માની કેપ્ટનશીપ છીનવાઈ જવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાઈરલ થયા. પરંતુ તમા પોસ્ટ્સ, સવાલો અને અટકળો વચ્ચે 13 વર્ષ અગાઉ રોહિત શર્માના એકાઉન્ટમાંથી જ કરવામાં આવેલી એક પોસ્ટ ખૂબ ચર્ચામાં આવી.
રોહિત શર્માએ 13 વર્ષ અગાઉ કરી હતી પોસ્ટ
‘હિટમેન’ની 13 વર્ષ જૂની પોસ્ટ ફરી વાઈરલ થઈ ગઈ. આ પોસ્ટમાં રોહિતે લખ્યું હતું, ‘End of an era (45) and the start of a new one (77)…” ચાહકોએ તરત જ આ પોસ્ટને રોહિતની જર્સી નંબર (45) અને તેના ઉત્તરાધિકારી શુભમન ગિલની જર્સી નંબર (77) સાથે જોડી દીધી. આ સંયોગે સોશિયલ મીડિયા પર બધાને ચોંકાવી દીધા અને ઘણા લોકો વિચારવા લાગ્યા કે, શું રોહિતે 2012માં જ 2025માં કેપ્ટનશીપ બદલાવની ભવિષ્યવાણી કરી દીધી હતી?
જોકે, આ પોસ્ટ પાછળનું સત્ય એ છે કે તે સમયે રોહિત પોતે પોતાનો જર્સી નંબર 45 થી 77 માં બદલી રહ્યો હતો.
26 વર્ષીય શુભમન ગિલ હવે સત્તાવાર રીતે બે ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી ચૂક્યો છે. રોહિતની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ ગિલને ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પોતાના પહેલા અભિયાનમાં તેણે ઈંગ્લેન્ડમાં આયોજિત એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં ટીમની કેપ્ટનશીપ કરી. તેની કેપ્ટનશીપ હેઠળ ભારતે સીરિઝ 2-2થી ડ્રો કરી, ભલે તેની આસપાસ વધુ અનુભવી માર્ગદર્શક નહોતા.
આ પણ વાંચો: ભારત સાથેની મેચ માટે ઑસ્ટ્રેલિયાની ટીમ જાહેર: સ્ટાર્કની વાપસી, 5 ખેલાડીઓના પત્તાં કપાયા
19 ઓક્ટોબરના રોજ પ્રથમ મેચ
હવે ગિલ પોતાની વન-ડે કેપ્ટનશીપની યાત્રાની શરૂઆત ઓસ્ટ્રેલિયામાં કરશે, જ્યાં પ્રથમ મેચ 19 ઓક્ટોબરે પર્થમાં રમાશે. ગિલના કેપ્ટનશીપ ડેબ્યૂને લઈને ઉત્સાહિત લોકોમાં એરોન ફિંચ પણ સામેલ છે. તેનું માનવું છે કે રોહિત અને કોહલીનો સાથ મળવો એ 26 વર્ષીય ગિલ માટે એક મોટો સહારો સાબિત થશે.
વન-ડે કેપ્ટન બન્યા બાદ ગિલની નજર હવે વર્લ્ડ કપ પર છે. ભારત વર્લ્ડ કપ પહેલા લગભગ 20 વન-ડે મેચ રમશે, અને ગિલનું લક્ષ્ય દક્ષિણ આફ્રિકામાં વર્લ્ડ કપ ટ્રોફી ઉઠાવવાનું છે.

Leave a Reply