Image Source: IANS
Gautam Gambhir react on Harshit Rana: ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. ટીમમાં ફાસ્ટ બોલર હર્ષિત રાણાને પણ સ્થાન મળતા ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંતે સિલેક્ટર્સ અને બોર્ડ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. જેનો વળતો જવાબ ટીમના મુખ્ય કોચ અને ભૂતપૂર્વ બેટર ગૌતમ ગંભીરે આપ્યો હતો. ગંભીરે કહ્યું હતું કે 23 વર્ષીય યુવા ખેલાડીને નિશાનો બનાવવો ખૂબ જ શરમજનક છે.
શું કહ્યું હતું શ્રીકાંતે?
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંતે તેના યુટ્યૂબ ચેનલ પર એવો દાવો કર્યો હતો કે રાણાને ટીમમાં એટલે સ્થાન અપાઈ રહ્યું છે કારણકે તે ગંભીરની ચાપલૂસી કરે છે. શ્રીકાંતે કહ્યું હતું કે, ‘એક જ ખેલાડી છે, હર્ષિત રાણા… કોઈ જાણતું નથી કે તે ટીમમાં શા માટે છે. સૌથી સારું એ છે કે હર્ષિત રાણાની જેમ બની જાવ અને ટીમમાં પસંદ થવા માટે ગંભીરની હા માં હા મિલાવતા રહો’ શ્રીકાંતનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યું છે.
ગંભીરે આપ્યો વળતો જવાબ
ગંભીરે આ નિવેદનને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યું અને કહ્યું કે, ‘કોઈ પણ ખેલાડીને માત્ર મીડિયા આકર્ષણ અથવા યુટ્યુબ વ્યૂઝ માટે નિશાન બનાવવો યોગ્ય નથી. કોઈ પોતાની યુટ્યૂબ ચેનલ ચલાવવા 23 વર્ષના ખેલાડી પર નિશાનો સાધી રહ્યા છે. જો તમે મને ટાર્ગેટ કરવા ઈચ્છો છો, બિન્દાસ કહો. હું તેનો સામનો કરી શકું છું. પણ યુટ્યૂબના વ્યૂઝ માટે એક યુવા ખેલાડીને ટ્રોલ કરવો તે શરમજનક છે.’
હર્ષિતને તેની યોગ્યતા પર ટીમમાં સ્થાન મળ્યું છે: ગૌતમ ગંભીર
ગંભીરે આગળ ભારપૂર્વક કહ્યું કે, ‘હર્ષિત રાણાને તેની મહેનત અને પ્રદર્શનના બળ પર ટીમમાં સ્થાન મળ્યું છે, કોઈ વ્યક્તિગત પ્રભાવને કારણે નહીં.. તેના (રાણાના) પિતા સિલેક્ટર નથી. આવા આક્ષેપો યુવાનોના મનોબળને તોડે છે. આવા યુવા ખેલાડીઓને નિશાનો ન બનાવો.’ 23 વર્ષના ઝડપી બોલર હર્ષિત રાણાએ દિલ્હી ક્રિકેટર તરીકે ગયા વર્ષે ગંભીર મુખ્ય કોચ બન્યા બાદ 2 ટેસ્ટ, 5 વનડે અને 3 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. તેની સતત મહેનત અને ટીમ માટેના યોગદાનને લઈને પસંદગીકારોએ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Leave a Reply