Updated: Oct 19th, 2025
GS TEAM

IND vs AUS First ODI Cricket Match : ઓસ્ટ્રેલિયાએ પર્થ વન-ડેમાં ભારતીય ટીમને સાત વિકેટે પરાજય આપીને શ્રેણીમાં લીડ મેળવી લીધી છે. વરસાદના વિઘ્ન બાદ મેચ 26-26 ઓવરની કરાઈ હતી, જેમાં ભારતીય ટીમ 9 વિકેટે માત્ર 136 રન જ બનાવી શકી હતી, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 21.1 ઓવરમાં ત્રણ વિકેટે 131 રન નોંધાવી મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા મેચ કેમ હારી ગઈ? તેને લઈને પાંચ મુખ્ય કારણો સામે આવ્યા છે.

ભારતની હારના પાંચ કારણો
1… ટોપ ઓર્ડરનો ધબડકો : ભારતીય ટીમની હારનું સૌથી મોટું કારણ ટોપ ઓર્ડરની નિષ્ફળતા છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેપ્ટન શુભમન ગિલ ત્રણેય નિષ્ફળ ગયા છે. માત્ર 25 રનના સ્કોર પર આ ત્રણેય ટોચના બેટ્સમેન પેવેલિયન ભેગા થઈ ગયા હતા. 50 રનના સ્કોર પહેલા જ 4 વિકેટ પડી ગઈ હતી, જેના કારણે મિડલ ઓર્ડર પર દબાણ વધી ગયું હતું.

2… ખરાબ શૉટના કારણે કોહલી-ગિલ આઉટ : મેચ દરમિયાન દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને સુકાની શુભમન ગિલ ખરાબ શૉટ્સના કારણે આઉટ થયા છે. કોહલી ઓફ-સ્ટમ્પની બહારના બોલ પર બેટ અડાડવાના પ્રયાસમાં શૂન્ય રને આઉટ થયો હતો, જ્યારે ગિલ પણ લેગ સાઈડ તરફ જઈ રહેલા બોલને ફટકારવા જતા વિકેટકીપરને કેચ આપી બેઠો હતો.

3… બેટ્સમેનો પિચને સમજવામાં પણ નિષ્ફળ : પર્થની પિચ પર શરૂઆતથી જ અસામાન્ય ઉછાળ જોવા મળી રહ્યો હતો. ભારતીય બેટ્સમેનો આ પિચની ગતિ અને ઉછાળને યોગ્ય રીતે સમજી શક્યા નહીં. કે.એલ.રાહુલ (38) અને અક્ષર પટેલ (31) સિવાય કોઈપણ બેટ્સમેન 20 રનનો આંકડો પણ પાર કરી શક્યો નથી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ સરળતાથી સ્કોર આગળ વધારીને સાબિત કર્યું કે, આ પિચ પર રન ફટકારવા શક્ય હતા.

4… બેટિંગ ઓર્ડરમાં પણ ભૂલો : ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરમાં પણ ભૂલો જોવા મલી છે. વન-ડેમાં સારી બેટિંગ માટે જાણીતા કે.એલ.રાહુલને પાંચમા ક્રમાંકે બેટિંગમાં મોકલવાના બદલે અક્ષર પટેલને મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત આક્રમક બેટિંગ માટે જાણીતા નિતીશ કુમારને છઠ્ઠા ક્રમે મોકલવાના બદલે વોશિંગ્ટન સુંદરને મોકલવામાં આવ્યો હતો. આ બાબતને પણ મેચ હારવાની એક ભૂલ તરીકે જોવામાં આવી રહી છે.

5… પર્થની પીચ મુજબ કુલદીપ યાદવની જરૂર હતી : ટીમ ઈન્ડિયાએ બે ફિંગર સ્પિનર અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરને તક આપી. કદાચ આ બંનેને બેટિંગ ક્ષમતાના કારણે ટીમમાં લેવાયા હશે. જોકે પર્થની પિચ ઘણીવાર રિસ્ટ સ્પિનરો માટે અસરકારક સાબિત થઈ છે. તેથી નિષ્ણાતો માને છે કે, જો કુલદીપ યાદવ જેવા રિસ્ટ સ્પિનરને ટીમમાં સામેલ કરાયો હોત તો ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને મુશ્કેલી પડી હોત. બીજીતરફ અક્ષર અને સુંદરની બોલિંગ સ્ટાઈલ લગભગ એકસમાન રહે છે, તેથી વિરોધી ખેલાડી સરળતાથી રમી શકે છે.
આ પણ વાંચો : દિવાળી પર ભારતને જીત ન અપાવી શકી ટીમ ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયાએ પહેલી વનડે જીતી
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી મેચ 23 ઓક્ટોબરે
આ મેચમાં ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. અક્ષર પટેલ અને કે.એલ. રાહુલ બાદ નીતિશ રેડ્ડીએ દમદાર બેટિંગ કરતા છેલ્લી ઓવરમાં બે છગ્ગા ફટકારીને ટીમ ઈન્ડિયાને 136 રનના સ્કોર સુધી પહોંચાડી હતી. માત્ર 21 રનના સ્કોર પર રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવી મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી. વરસાદના વિઘ્નને કારણે આ મેચ હવે 26 ઓવરની થઇ જવાને કારણે ડકવર્થ લ્યુઈસ નિયમના આધારે ઓસ્ટ્રેલિયાને 131 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટથી જીત મેળવી હતી. ભારતે નિર્ધારિત 26 ઓવરમાં 9 વિકેટે 136 રન બનાવ્યા હતા. જોકે, DLS નિયમ હેઠળ, ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 131 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્યાંક માત્ર 21.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. ODI સીરિઝની બીજી મેચ ગુરુવાર, 23 ઓક્ટોબરના રોજ એડિલેડમાં રમાશે.
આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયા સામે શરમજનક પરાજય બાદ કેપ્ટન ગિલે કોના પર ફોડ્યું હારનું ઠીકરું?

Leave a Reply