દક્ષિણ આફ્રિકા સાથેની સીરિઝ બાદ રોહિત-વિરાટ અંગે લેવાશે મોટો નિર્ણય, કેપ્ટન ગિલનું નિવેદન
Updated: Oct 26th, 2025
GS TEAM

Shubman Gill On Rohit-Kohli Playing Cricket: ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરિઝની છેલ્લી મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીની શાનદાર બેટિંગે ભારતીય ચાહકોનું દિલ જીતી લીધું છે. હવે ક્રિકેટપ્રેમીઓમાં એ ચર્ચા છે કે આગામી દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે સીરિઝમાં આ બંને દિગ્ગજ ખેલાડીઓ રમશે કે નહીં. આ અંગે ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે એક મહત્ત્વપૂર્ણ અપડેટ આપી છે, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે ગેમ ટાઈમ અંગેનો અંતિમ નિર્ણય દક્ષિણ આફ્રિકા સીરિઝ બાદ લેવાશે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરામ બાદ નિર્ણય
સિડની ODIમાં રોહિત અને કોહલીની 168 રનની મેચ-વિનિંગ ભાગીદારી પછી, શુભમન ગિલને પૂછવામાં આવ્યું હતું કે શું તેણે બંને સિનિયર ખેલાડીઓ સાથે આગામી સમયના ગેમ ટાઈમ વિશે વાત કરી છે? ગિલે જવાબમાં કહ્યું, ‘અમે હજુ સુધી તેમના વિશે વાત કરી નથી. પરંતુ મને લાગે છે કે દક્ષિણ આફ્રિકા સામેની ODI સીરિઝ (છઠ્ઠી ડિસેમ્બરે) સમાપ્ત થયા પછી ન્યુઝીલેન્ડ ODI સીરિઝ (11મી જાન્યુઆરી 2026) પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરામ હશે. તેથી મને લાગે છે કે અમે જોઈશું કે ખેલાડીઓને કેવી રીતે સંપર્કમાં રાખવા. પછી મને લાગે છે કે નિર્ણય લેવામાં આવશે.’
આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે રોહિત અને કોહલી દક્ષિણ આફ્રિકા સીરિઝમાં રમે તેવી શક્યતા છે, પરંતુ ન્યુઝીલેન્ડ સીરિઝ પહેલાના લાંબા વિરામમાં તેમના આગામી શિડ્યુલની સમીક્ષા કરવામાં આવશે.
નોંધનીય છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા ટી20 અને ટેસ્ટમાંથી નિવૃત્ત થઈ ગયા હોવાથી માત્ર વનડે મેચ જ રમવાના છે. એવામાં આ બંને ખેલાડીઓને ઘરેલુ ક્રિકેટમાં રમવું જોઈએ તેને લઈને ઘણા પૂર્વ ક્રિકેટરો સલાહ આપી રહ્યા છે. એવામાં ગિલમાં નિવેદનથી સ્પષ્ટ છે કે દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ સમાપ્ત થયા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: સિડનીમાં શાનદાર બેટિંગ, હવે ક્યારે મેદાન પર જોવા મળશે ROKOની જોડી? નોટ કરી રાખો તારીખ
સિનિયર ખેલાડીઓના પ્રદર્શનથી ગિલ ખુશ
રોહિત અને કોહલીએ ટીમને વિજય અપાવતા કેપ્ટન શુભમન ગિલ ખૂબ જ ખુશ છે. તેણે કહ્યું, ‘બંનેને આ રીતે રમતા અને ટીમને અજેય રાખતા જોવાનો ખરેખર આનંદ છે. એક કેપ્ટન તરીકે બાજુમાંથી મેચ જોતી વખતે, ટીમના બે સૌથી સિનિયર ખેલાડીઓને રમતા અને ટીમને વિજય તરફ દોરી જતા જોવાનો હંમેશા આનંદ આવે છે.’
ગિલે ઝડપી બોલર હર્ષિત રાણાની પણ પ્રશંસા કરી અને કહ્યું કે, ‘મધ્ય ઓવરોમાં સ્પિનરો અને ઝડપી બોલરોએ ઓસ્ટ્રેલિયન બેટર્સને કાબૂમાં રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.’
ભારતે 3 મેચની સીરિઝ 2-1થી જીતી
મેચમાં ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાને 236 રનમાં ઓલઆઉટ કર્યા બાદ રોહિત શર્મા (121 અણનમ)ની 33મી ODI સદી અને વિરાટ કોહલી (74 અણનમ)ના યોગદાનથી ભારતે લક્ષ્યનો પીછો 38.3 ઓવરમાં કરીને 9 વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. આ સાથે ભારતે 3 મેચની સીરિઝ 2-1થી જીતી લીધી છે.

Leave a Reply