અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સામે આક્રમક પગલું લીધું છે. રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલ ખરીદી મુદ્દે અસંતોષ વ્યક્ત કરતાં તેમણે બુધવારે સાંજે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ભારત પર વધારાનો 25% ટેરિફ લાદ્યો છે. આ નવા પગલાં બાદ ભારત પર કુલ 50% ટેરિફ લાગુ થઈ ગયો છે. અમેરિકાના આ નિર્ણયને ભારતે “અન્યાયી” અને “દુર્ભાગ્યપૂર્ણ” ગણાવ્યો છે.
MEAનું કડક નિવેદન: “ભારત કરશે રાષ્ટ્રીય હિતોની રક્ષા”
ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકાના આ પગલાને લઈને સત્તાવાર નિવેદન આપ્યું. પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, “અમેરિકા દ્વારા તાજેતરમાં ભારતની તેલ આયાતને નિશાન બનાવવું અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. અમારી આયાત બજારના પરિબળો અને 1.4 અબજ લોકોની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના હેતુઓ પર આધારિત છે.”
જયસ્વાલે વધુમાં કહ્યું કે, “આ પગલાં અન્યાયી અને ગેરવાજબી છે. ભારત તેના રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત રાખવા માટે તમામ જરૂરી પગલાં લેશે.”

ભારતની સ્પષ્ટતા: ઊર્જા સુરક્ષામાં કોઈ સમાધાન નહીં
MEAએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતે અગાઉ પણ અમેરિકાને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. ભારતનું માનવું છે કે તે પોતાના ઊર્જા સ્રોતોને વૈવિધ્યપૂર્ણ રાખવા અને આંતરિક જરૂરિયાતોને પૂરી કરવા માટે તમામ વિકલ્પો ખોલી રાખશે.
વિદેશ મંત્રાલયે એ પણ કહ્યું કે, “આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા દેશો પોતાના રાષ્ટ્રીય હિતમાં નિર્ણયો લઈ રહ્યા છે. અમેરિકાનો આ નિર્ણય અન્યાયી છે અને ભારત તેનો યોગ્ય પ્રતિસાદ આપશે.”
તણાવમાં વધારો અને ભવિષ્યની અસર
ટ્રમ્પના આ નિર્ણયથી બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં વધુ તણાવ વધ્યો છે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, આ વધારાના ટેરિફનો સીધો પ્રભાવ ભારતીય નિકાસ ઉદ્યોગો પર પડશે, જેમાં જ્વેલરી, ટેક્સટાઇલ, ફાર્મા અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રનો સમાવેશ થાય છે. જો પરિસ્થિતિ આવી જ રહે તો તે ભારતની આર્થિક વૃદ્ધિ પર દબાણ વધારી શકે છે.

Leave a Reply