ભારત-અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે પુતિનની ભારત યાત્રા બની શકે છે મોટો રાજકીય સંકેત

ભારત-અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે પુતિનની ભારત યાત્રા બની શકે છે મોટો રાજકીય સંકેત

ભારત-અમેરિકા વચ્ચે વધતા ટેરિફ વિવાદ વચ્ચે, રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન ઓગસ્ટ મહિનામાં ભારતની મુલાકાત લઈ શકે છે એવી સંભાવના છે, જો કે આ અંગે હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નોંધનીય છે કે, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તાજેતરમાં મોસ્કો ગયા હતા, જેના પછી પુતિનની યાત્રાની અટકળો જોર પકડવા લાગી છે. આ યાત્રાને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે અમેરિકા દ્વારા ભારત પર વધારવામાં આવેલા ટેરિફના દબાણનો પ્રત્યાઘાત હોઈ શકે છે.

અમેરિકા સતત ભારત પર રશિયા સાથે વેપાર બંધ કરવા દબાણ કરી રહ્યું છે. તાજેતરમાં તેણે ભારત પરથી આયાત થતા કેટલાક ઉત્પાદનો પર 25 ટકાનો વધારાનો ટેરિફ લાદ્યો છે અને વધુ પ્રતિબંધોની ધમકી પણ આપી છે. આવી સ્થિતિમાં, ભારત અને રશિયા વચ્ચે વ્યાપાર અને ટેક્નોલોજી ક્ષેત્રે નવી વ્યૂહરચનાઓ ઘડાઈ શકે છે.

એક મિડિયા રિપોર્ટ અનુસાર, બંને દેશોએ તાંબા, લિથિયમ, નિકલ અને કોબાલ્ટ જેવા દુર્લભ ખનિજોની શોધ અને ઉત્પાદન માટે ભાગીદારી કરવાનો નિર્ણય લીધો છે. આ ખનિજો ઇલેક્ટ્રિક વાહન, હાઈડ્રોજન એનર્જી અને બેટરી સ્ટોરેજ જેવી ટેક્નોલોજીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત-રશિયા વચ્ચેનો આ સહકાર ક્લિન એનર્જી અને ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતા તરફ એક મોટો પગથિયો સાબિત થઈ શકે છે.

ટ્રમ્પના તાજેતરના આદેશ પછી, ભારતમાં બનાવતા કપડાં, ચામડાં અને એન્જિનિયરિંગ ઉત્પાદનો પર 50 ટકા સુધીનો ટેરિફ વસૂલાઈ રહ્યો છે, જે નિકાસ પર નકારાત્મક અસર કરે તેવી શક્યતા છે.

વિશ્લેષકો માને છે કે ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા અને તેના ટેક્નોલોજી ક્ષેત્રના ભવિષ્યના યોજનાઓથી અમેરિકા હેરાન છે. ભારતના આત્મનિર્ભરતા તરફના પગલાં અને વૈશ્વિક સ્તરે તેની સ્પર્ધાત્મકતાને કારણે અમેરિકા હવે દબાણ બનાવવાનું પ્રયત્ન કરી રહ્યું છે, અને એટલા માટે જ તે ટેરિફના માર્ગે આગળ વધ્યું છે.

અંતે, પુતિનની યાત્રા માત્ર વ્યાપારિક નહીં, પણ રાજકીય રીતે પણ એક મોટો સંકેત બની શકે છે કે ભારત હવે એક વૈશ્વિક મંચ પર પોતાની વ્યૂહાત્મક સ્થિતિને મજબૂત બનાવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.