મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતચોરીના ગંભીર આક્ષેપ: રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણી પંચ પર લગાવ્યા આરોપ

મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતચોરીના ગંભીર આક્ષેપ: રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણી પંચ પર લગાવ્યા આરોપ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા અને કર્ણાટકના કેટલાક મતવિસ્તારોમાં વોટર લિસ્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપ કરીને ચૂંટણી પંચની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. દિલ્હીમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે, બંધારણનો આધાર ‘મત’ છે અને જો મતદારોને યોગ્ય રીતે વોટ આપવાનો અધિકાર નહીં મળે તો લોકશાહીમાં મોટી ખામી ઊભી થાય છે.

રાહુલ ગાંધીએ પ્રેઝન્ટેશનની મદદથી દાવો કર્યો કે મહારાષ્ટ્રમાં લગભગ 40 લાખ મતદારો એવા છે જેમની ઓળખ શંકાસ્પદ છે. તેમના જણાવ્યા મુજબ, ચૂંટણી પંચને ઘણા વખતથી ઇલેક્ટ્રોનિક ડેટા માગ્યો હોવા છતાં તેમણે જવાબ આપવાનું ટાળ્યું છે. તેમણે આને ‘મિલીભગત’ ગણાવીને સીધો આક્ષેપ કર્યો કે ભાજપ અને ચૂંટણી પંચ વચ્ચે મતચોરી માટે ગેરકાયદેસર ગઠજોડ છે.

https://youtu.be/KPVF6ihjaz4

આ મુદ્દાને સાબિત કરવા માટે રાહુલ ગાંધીએ કર્ણાટકની બેંગ્લુરૂ સેન્ટ્રલ લોકસભાની મહાદેવપુરા વિધાનસભા બેઠકનું ઉદાહરણ આપ્યું. જ્યાં તેમણે જણાવ્યું કે 6.5 લાખ જેટલાં મતો પૉલ થયા હતા પરંતુ ચકાસણીમાં જાણવા મળ્યું કે એક લાખથી વધુ મતદારો ડુપ્લીકેટ હતાં અને ઘણી એન્ટ્રીઓ ખોટા સરનામાં પર આધારિત હતી. તેમણે દાવો કર્યો કે 11 હજાર લોકો ત્રણ વખત મત આપી ચૂક્યા છે, જ્યારે એક જ રૂમમાં 80થી વધુ મતદારો નોંધાયેલા છે.

રાહુલના દાવા મુજબ, મતચોરીની પ્રક્રિયા પાંચ અલગ-અલગ રીતોથી થઇ રહી છે – જેમાં ડુપ્લીકેટ વોટર્સનો સમાવેશ, ખોટા સરનામા, બલ્ક વોટર્સ, અયોગ્ય ફોટા અને ફોર્મ 6નો દુરૂપયોગ થાય છે.

તેમણે જણાવ્યું કે દેશભરમાં નકલી મતદારોની સંખ્યા વધી રહી છે અને કોંગ્રેસ દ્વારા છ મહિના સુધી ચાલેલી જાતે કરેલી તપાસ પછી આ વિગતો બહાર લાવવામાં આવી છે. રાહુલ ગાંધીએ ભાજપ પર તીખા આક્ષેપ કરતા કહ્યું કે આ તમામ ગેરરીતિઓ ભારતની લોકશાહી માટે ઘાતક સાબિત થઈ શકે છે અને ચૂંટણી પંચે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.