અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં એએમસીની ડિમોલિશન કાર્યવાહી દરમિયાન ભારે હંગામો સર્જાયો. એસ્ટેટ વિભાગની ટીમ જયશ્રી સોસાયટી નજીક રોડ પર આવેલી દુકાનો તોડવા પહોંચી ત્યારે સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ કર્યો. આ દરમિયાન એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, જેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સુરક્ષા કાફલો તૈનાત કર્યો.
સ્થાનિકોના આરોપ પ્રમાણે, એએમસીની ટીમે કોઈ પૂર્વ સૂચના આપ્યા વગર તોડફોડ શરૂ કરી હતી. વેપારીઓનો દાવો છે કે તેઓએ થોડો સમય માગ્યો હતો જેથી સામાન બહાર કાઢી શકાય, પરંતુ એએમસીએ તેમની વાત સાંભળી નથી. હંગામા દરમિયાન સ્થાનિકોએ એએમસીની ગાડીઓ પર પથ્થરમારો કર્યો અને કાચ તોડી નાખ્યા. વેપારીઓએ એ પણ આક્ષેપ કર્યો કે મોટા અધિકારીઓ રૂપિયા માગે છે અને ડિમોલિશનના નામે હેરાનગતિ કરે છે.

Leave a Reply