જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પડ્ડર સબ ડિવિઝન વિસ્તારમાં વાદળ ફાટ્યાના કારણે વિનાશક પૂર આવ્યું છે. ચિશોતી ગામમાં મચૈલ માતાના મંદિર નજીક થયેલા આભ ફાટવાના કારણે અચાનક ફ્લેશ ફ્લડ આવ્યું હતું, જેના કારણે હાલત ગંભીર બની ગઈ હતી. અત્યાર સુધી 30થી વધુ લોકોના મૃતદેહો મળી આવ્યા છે, જેમાં CISFના 2 જવાનો પણ સામેલ છે. ઉપરાંત 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં અનેક ગંભીર રીતે ઘાયલ છે. કિશ્તવાડ જિલ્લામાં 220થી વધુ લોકો ગુમ છે અને તેમની શોધખોળ ચાલુ છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટનાને લઈને જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે વાતચીત કરી છે અને પરિસ્થિતિની સમીક્ષા કરી છે. મચૈલ માતાના મંદિરે યાત્રા ચાલી રહી હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા, જેના કારણે મૃત્યુઆંક વધવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. હાલ NDRF, SDRF, પોલીસ અને અન્ય બચાવ એજન્સીઓ સ્થળ પર રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરતાં ટ્વિટર પર લખ્યું કે આ સંકટમાં દેશ પ્રભાવિત પરિવારોની સાથે છે અને તમામ શક્ય મદદ પહોંચાડવામાં આવશે. તંત્રએ સમગ્ર જિલ્લામાં કંટ્રોલ રૂમ અને હેલ્પ ડેસ્ક સ્થાપિત કર્યા છે તથા તમામ સબ-ડિવિઝનને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
ચિશોતી ગામની નજીક પદ્દર વિસ્તારમાં કંટ્રોલ રૂમ કાર્યરત છે. સહાય માટે નીચેના નંબર જાહેર કરવામાં આવ્યા છે:
9858223125, 6006701934, 9797504078, 8492886895, 8493801381, 7006463710
જિલ્લા કંટ્રોલ રૂમ: 01995-259555, 9484217492
પોલીસ કંટ્રોલ રૂમ: 9906154100
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુઃખ વ્યક્ત કરતાં બચાવ કાર્યમાં તેજી લાવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત રાજૌરી અને મેંઢર વિસ્તારોમાં પણ વાદળ ફાટવાની ઘટના સામે આવી છે.

Leave a Reply