સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં દિલ્હીની અને NCRની સડકો પરથી રખડતા કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં રાખવા તથા નસબંધી કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ કોર્ટએ સ્પષ્ટ સૂચના આપી હતી કે રખડતા કૂતરાઓને ફરીથી જાહેર સ્થળોએ ન છોડવામાં આવે. આ નિર્ણય બાદ પ્રાણીપ્રેમીઓ અને પ્રાણી અધિકાર કાર્યકરોમાં ચિંતા જોવા મળી રહી છે.
હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. પેટફેમિલિયા માટે જાહેર કરાયેલા વિડિઓ સંદેશમાં કપિલ દેવે અધિકારીઓને માનવીય અને સંવેદનશીલ ઉકેલો અપનાવવા અપીલ કરી છે. તેમનું કહેવું છે કે, “પ્રાણીઓ પણ પ્રેમના હકદાર છે. આ આદેશને કારણે શેલ્ટર હોમમાં ભીડ વધશે અને પ્રાણીઓની યોગ્ય સંભાળ ન થઈ શકે.”
કપિલ દેવે વધુમાં કહ્યું કે, “કૂતરાઓ આપણા સમાજનો મહત્વનો ભાગ છે. કૃપા કરીને તેમની સંભાળ રાખો, તેમને વધુ સારું જીવન આપો અને તેમને બહાર ન ફેંકો.” ઉલ્લેખનીય છે કે, કપિલ દેવ ઘણા સમયથી રખડતા કૂતરાઓના અધિકારો માટે અવાજ ઉઠાવતા આવ્યા છે.
વર્ષ 2023માં કપિલ દેવે દિલ્હીની હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં પ્રાણીઓ પર ક્રૂરતા નિવારણ કાયદાની કેટલીક જોગવાઈઓને પડકારવામાં આવી હતી, જે રખડતા કૂતરાઓનો નાશ કરવાની મંજૂરી આપતી હતી. નવેમ્બર 2022માં દિલ્હીમાં એક કૂતરાનું મોત થવા બાદ તેમણે આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં લઈ જવાનો નિર્ણય કર્યો હતો.

Leave a Reply