જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આજે બપોરે ભયાનક કુદરતી હોનારત સર્જાઈ હતી. ચિશોતી ગામમાં આભ ફાટતાં આખું ગામ પૂરના પાણીમાં તણાઈ ગયું અને 33 લોકોના મોત થયા જ્યારે 200થી વધુ લોકો ગુમ છે. આ ઘટનાથી લોકોની વર્ષોની મહેનત ક્ષણોમાં કાટમાળમાં દફનાઈ ગઈ.
મચેલ માતાના મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા ત્યારે અચાનક આભ ફાટતાં આંખના પલકારામાં જળબંબાકાર સર્જાયો. આ પૂરમાં ઘરો, ગાડીઓ, દુકાનો અને રસ્તાઓ પાણીમાં તણાઈ ગયા. સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયો બતાવે છે કે કેવી રીતે પહાડ પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ આખા ગામને ઝપેટમાં લઈ રહ્યો છે. લોકો અને સુરક્ષાકર્મીઓ સતત ચીસો પાડતા હતા કે “પાછળ હટો… અહીંથી દૂર જાઓ…” સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો અને ઘણા પરિવારો વિખૂટા પડી ગયા.
અધિકૃત માહિતી મુજબ, અત્યાર સુધીમાં 33 લોકોના મોત થયા છે અને 120 લોકો ઘાયલ છે, જેમાંથી 37ની હાલત ગંભીર છે. 9500 ફૂટ ઊંચાઈએ આવેલા મચેલ માતાના મંદિરે જતો રસ્તો પણ તૂટી ગયો છે.
દુર્ઘટના બાદ ડેપ્યુટી કમિશ્નર પંકજ કુમાર શર્મા અને એસએસપી કિશ્તવાડ સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી. એનડીઆરએફની બે ટીમો, એસડીઆરએફ, સેના અને પોલીસના જવાનો પણ ઓપરેશનમાં જોડાયા છે. સતત થઈ રહેલા ભૂસ્ખલન અને પાણીના પ્રચંડ પ્રવાહને કારણે કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે. મચેલ માતાની યાત્રા હાલ સ્થગિત કરી દેવામાં આવી છે. ગુમ થયેલા લોકોને શોધવા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાનું કામ યુદ્ધસ્તરે ચાલી રહ્યું છે. પહાડી વિસ્તાર અને તૂટેલા માર્ગોને કારણે બચાવ કામગીરી અત્યંત મુશ્કેલ બની છે.

Leave a Reply