સુરતમાં સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના રામનગર વિસ્તારમાં આવેલું પાકિસ્તાન મોહલ્લા તરીકે ઓળખાતું મહોલ્લાનું નામ હવે હિન્દુસ્તાની મહોલ્લો કરવામાં આવ્યું છે. ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોના આધાર કાર્ડમાં પાકિસ્તાન મોહલ્લાનું નામ લખાતું હતું, જેને કારણે તેઓને અસહજતા અનુભવાતી હતી.
હકીકતમાં, સુરત પાલિકાએ વર્ષ 2018માં જ આ નામ બદલવાનો ઠરાવ કર્યો હતો, પરંતુ તેનો અમલ હવે કરવામાં આવ્યો છે. સ્થાનિક ધારાસભ્ય પૂર્ણેશ મોદીના હાજરીમાં હિન્દુસ્તાની મહોલ્લાની તખ્તીનું અનાવરણ થયું, જેના કારણે રહેવાસીઓમાં ઉત્સાહ છવાયો.
ભારત-પાકિસ્તાન વચ્ચેના બગડતા સંબંધોને ધ્યાનમાં રાખીને આ નામકરણને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. અગાઉ લોકો પાકિસ્તાની મહોલ્લા નામને કારણે નારાજગી વ્યક્ત કરતા હતા. અંતે લાંબા સમય બાદ નામ બદલાતા રહેવાસીઓએ ખુશી વ્યક્ત કરી અને આશા વ્યક્ત કરી કે હવે આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોમાં પણ હિન્દુસ્તાની મહોલ્લો લખાશે.
ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે ભારતના ભાગલા પહેલા સિંધ પ્રદેશમાં રહેતા હિન્દુઓ પર અત્યાચાર થયા બાદ તેઓ સુરત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં વસ્યા હતા. તેમાંથી જ આ મહોલ્લા બન્યો હતો, જેને ત્યારે પાકિસ્તાની મહોલ્લો તરીકે ઓળખવામાં આવતો હતો. વર્ષ 2015થી ચર્ચા પછી 2018માં ઠરાવ થઈને નામકરણ થયું, પરંતુ અમલ હવે થયો છે. આ સાથે રહેવાસીઓ માટે સેવા સેતુ કાર્યક્રમમાં દસ્તાવેજોમાં નામ સુધારવા માટે સુવિધા આપવામાં આવશે.

Leave a Reply