ગુજરાતમાં દેશભક્તિનો ઉત્સવ: પોરબંદરમાં 79મા સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

ગુજરાતમાં દેશભક્તિનો ઉત્સવ: પોરબંદરમાં 79મા સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

દેશભરમાં 79મા સ્વતંત્રતા પર્વની ઉજવણી વચ્ચે, ગુજરાતના પોરબંદરમાં રાજ્યકક્ષાની ઉજવણી ભવ્ય રીતે યોજાઈ. માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. આ અવસરે મુખ્યમંત્રીએ નાગરિકોને ‘હર ઘર તિરંગા’ અને ‘હર ઘર સ્વચ્છતા અભિયાન’ માં જોડાવા માટે અપીલ કરી.

પોરબંદર આજે દેશભક્તિના રંગે રંગાયું હતું. કાર્યક્રમ દરમિયાન ‘બાપુના પગલે તિરંગા ભારત’ થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, જેમાં મનમોહક મણિયારો રાસ, ટિપ્પણી રાસ, તાંડવ નૃત્ય અને ઉત્સાહી ગરબા જેવા નૃત્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું. સાથે જ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા ગોલ્ડન ગાંધી સહિતના જાણીતા કલાકારો દ્વારા ખાસ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું.

સ્વતંત્રતા દિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ નાગરિકોને શુભકામનાઓ પાઠવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, “79માં સ્વતંત્રતા પર્વની હાર્દિક શુભકામના. અનેક સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારીઓના બલિદાન તથા દેશવાસીઓના અવિરત સંઘર્ષથી આપણને આઝાદ ભારત મળ્યું છે. ભારતમાતાની આઝાદી માટે જીવ સમર્પિત કરનાર તમામ વીરોએ કૃતજ્ઞતા સહ વંદન કરું છું. હવે આપણે સૌને ‘વિકસિત ભારત’ના નિર્માણ માટે કૃતસંકલ્પ થવું પડશે.”

 

Leave a Reply

Your email address will not be published.