1947ના આઝાદીદિવસ વિશે આપણે બધાએ વાંચ્યું હશે કે 15 ઓગસ્ટ એ ભારતે અંગ્રેજ શાસનમાંથી મુક્તિ મેળવી હતી. પરંતુ ઘણા લોકો નથી જાણતા કે આ મહત્વપૂર્ણ તારીખની પસંદગી પાછળ રાજકીય વાતો સિવાય પણ એક આધ્યાત્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિ પણ હતી. ઉજ્જૈન, જેને જ્યોતિષ અને ખગોળશાસ્ત્રનું પ્રાચીન કેન્દ્ર માનવામાં આવે છે, ત્યાંના ખ્યાતનામ જ્યોતિષ પંડિત સૂર્યનારાયણ વ્યાસે આઝાદી માટેનું “શુભ મુહૂર્ત” નક્કી કર્યું હતું.
તે સમય દરમિયાન જ્યારે બ્રિટિશ સરકાર ભારત છોડવા માટે તૈયારી કરી રહી હતી અને 14 કે 15 ઓગસ્ટના વિકલ્પ આપ્યા હતા, ત્યારે ભારતના ભાવિ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે આ વિષયને ખૂબ જ ગંભીરતાથી લીધો. તેઓ ધર્મપરાયણ અને જ્યોતિષમાં વિશ્વાસ રાખનારા હતા. તેમણે પોતાના ગુરુ ગોસ્વામી ગણેશદત્ત મહારાજ દ્વારા પંડિત વ્યાસજીને દિલ્હી બોલાવ્યા. વ્યાસજીએ પંચાંગ અને ગ્રહોની સ્થિતિનું વિશ્લેષણ કરીને જણાવ્યું કે 14 ઓગસ્ટની કુંડળી અસ્થિર છે, જ્યારે 15 ઓગસ્ટની મધ્યરાત્રિએ મુહૂર્તમાં ‘સ્થિર લાગ્ન’ છે, જે રાષ્ટ્ર માટે શુભ અને લોકશાહી માટે મજબૂત આધાર આપનારું છે.
પંડિત વ્યાસની સલાહ પ્રમાણે જ 15 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રે સંસદ ગૃહને શુદ્ધ કરીને ભારતની આઝાદીની ઘોષણા કરવામાં આવી. કેટલાંક અન્ય જ્યોતિષીઓએ 15 ઓગસ્ટને અશુભ ગણાવ્યું હતું, પરંતુ વ્યાસજીની ગણતરીને ઐતિહાસિક મંજુરી મળી. પાકિસ્તાને પોતાની સ્વતંત્રતાની તારીખ 14 ઓગસ્ટ રાખી, પણ ભારતે વ્યાસના મુહૂર્ત પર આધાર રાખીને 15 ઓગસ્ટ પસંદ કર્યું.
આ સમગ્ર કથા આજે પણ ઉજ્જૈનમાં જીવંત છે. બડા ગણેશ મંદિરમાં આજના દિવસ સુધી આઝાદીનો તહેવાર ચંદ્ર પર્વ અનુસાર – શ્રાવણ કૃષ્ણ ચતુર્દશી તરીકે – મનાવવામાં આવે છે.
પંડિત સૂર્યનારાયણ વ્યાસ ફક્ત જ્યોતિષી નહોતા, પણ એક વિદ્વાન લેખક અને સ્વતંત્રતા સંગ્રામના સક્રિય ભાગીદાર પણ હતા. તેઓએ 1930માં આગાહી કરી હતી કે ભારત 1947માં સ્વતંત્ર થશે અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પ્રથમ રાષ્ટ્રપતિ બનશે – જે પછી સાચું સાબિત થયું. દેશના અનેક નેતાઓ તેમના ઉપર વિશ્વાસ રાખતા હતા અને આજે પણ તેઓએ આપેલો મુહૂર્ત દેશના ઈતિહાસમાં એક દિવ્ય ક્ષણ તરીકે ઓળખાય છે.
Leave a Reply