ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીનનો મોટો સંકેત: ભારત સાથે સહકાર વધારવા તૈયાર

ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીનનો મોટો સંકેત: ભારત સાથે સહકાર વધારવા તૈયાર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફ લાદ્યાના નિર્ણય પછી વૈશ્વિક રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. સરહદી વિવાદોના કારણે લાંબા સમયથી દૂર રહેલા ભારત અને ચીન વચ્ચેના સંબંધો હવે સુધરતા નજરે પડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા ચીનની મુલાકાત લેશે, જ્યાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે તેમની મુલાકાત નક્કી છે.

ચીનના વિદેશ મંત્રાલયે ભારત સાથેના સંબંધો પર સકારાત્મક નિવેદન આપ્યું છે. ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, મંત્રાલયના પ્રવક્તા લિન જિયાનએ જણાવ્યું કે, “ચીન ભારત સાથે મળીને બંને દેશોના નેતાઓ વચ્ચે બનેલી સામાન્ય સહમતિને અમલમાં મૂકવા તૈયાર છે. સતત વાતચીત રાજકીય વિશ્વાસ વધારશે અને બહુપક્ષીય મંચો પર સહકાર મજબૂત કરશે.” તેમણે વધુમાં કહ્યું કે, “અમે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન જેવા પ્લેટફોર્મ પર સહયોગ અને આદાન-પ્રદાન વધારીને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પ્રયત્નશીલ રહીશું.”

ઉલ્લેખનીય છે કે, 31 ઓગસ્ટે પીએમ મોદી તિયાંજિનમાં યોજાનારી SCO બેઠકમાં ભાગ લેશે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, મોદી ચીન પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટ્સ શરૂ કરવાની જાહેરાત કરી શકે છે.

વિશ્લેષકોના મતે, અમેરિકા લાંબા સમયથી ભારતને ચીનના વિરોધી તરીકે પ્રોજેક્ટ કરી રહ્યું હતું, પરંતુ ટ્રમ્પની નવી ટેરિફ નીતિઓના કારણે ચીન અને ભારત વચ્ચે સહકારની નવી સંભાવનાઓ ઊભી થઈ રહી છે. ભારત સ્થિત ચીની રાજદૂત ઝુ ફેઇહોંગે પણ અમેરિકાની ટેરિફ ઘોષણાની સામે ભારતને ખુલ્લો નૈતિક ટેકો આપ્યો હતો. ઝુએ પોતાના નિવેદનમાં લખ્યું હતું કે, “જો ધમકી આપનારને એક ઇંચ છૂટ આપવામાં આવશે, તો તે એક માઈલ લઈ લેશે.” આ સ્પષ્ટ કરે છે કે અમેરિકાની નીતિઓના કારણે વૈશ્વિક રાજનીતિમાં નવો ગઠબંધન પરિચિત થઈ રહ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published.