સંજય રાઉતનો મોટો દાવો: ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે મળીને લડશે મ્યુનિસિપલ ચૂંટણી

સંજય રાઉતનો મોટો દાવો: ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે મળીને લડશે મ્યુનિસિપલ ચૂંટણી

મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો વળાંક આવવાની સંભાવના છે. શિવસેના (યુબીટી) ના સાંસદ સંજય રાઉતે નાસિકમાં જાહેરાત કરી કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણી લડશે. રાઉતે કહ્યું કે બંને ભાઈઓ મુંબઈ, થાણે, કલ્યાણ-ડોંબિવલી અને નાસિકમાં સાથે લડીને મરાઠી એકતા માટે કામ કરશે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપની સરકારમાં “તાલિબાની વલણ” જોવા મળે છે.

યાદ રહે કે 5 જુલાઈના રોજ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વર્ષો બાદ એક જ મંચ પર જોવા મળ્યા હતા, જેના કારણે રાજકીય અટકળો શરૂ થઈ હતી. ત્યારબાદ, 27 જુલાઈએ ઉદ્ધવના જન્મદિવસે રાજ ઠાકરે ‘માતોશ્રી’ પહોંચતા રાજકીય ગરમાવો વધુ વધી ગયો હતો. હવે સંજય રાઉતના નિવેદનથી એ અટકળોને વધારે વેગ મળ્યો છે કે ઠાકરે ભાઈઓની ગઠબંધનવાળી રાજકીય લડત નજીક છે.

સ્વતંત્રતા દિવસના પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીના લાલ કિલ્લા પરથી કરાયેલા ભાષણ પર પ્રતિભાવ આપતા સંજય રાઉતે કહ્યું કે, “દેશની આજની પ્રગતિ પંડિત નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી, મનમોહન સિંહ અને રાજીવ ગાંધીના વિઝનના કારણે છે. આજે આપણે અવકાશમાં પહોંચી ગયા છીએ, એ તેમના સપનાનું પરિણામ છે.”

રાઉતે વધુમાં કહ્યું કે પીએમ મોદી ધીમે ધીમે ગાંધીવાદ અને નહેરુવાદ તરફ આગળ વધી રહ્યા છે. “સ્વદેશીનો નારો પણ પંડિત નહેરુ અને મહાત્મા ગાંધીનું વિઝન છે. આજે તમે તે વિચારો અપનાવી રહ્યા છો. કદાચ થોડા દિવસોમાં ગાંધી ટોપી પહેરીને ભાષણ આપશો,” એમ તેમણે ઉમેર્યું.

 

Leave a Reply

Your email address will not be published.