અમદાવાદમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમરોળ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અખબારનગર અંડરપાસ સહિત ઘણા અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં તંત્ર દ્વારા તે બંધ કરવાની ફરજ પડી છે. મીઠાખળી અંડરપાસમાં પણ સમાન પરિસ્થિતિ સર્જાતા તે પણ બંધ કરવામાં આવ્યો છે. આ કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વેજલપુરની સોસાયટીમાં પાણી ભરાયા
વેજલપુરના શ્રીનંદનનગર સોસાયટીમાં પાણી ભરાયા છે. સામાન્ય વરસાદ છતાં ડ્રેનેજ લાઈનો ઓવરફ્લો થઈ રહી છે અને ગટરના ઢાંકણમાંથી પાણી બહાર આવી રહ્યું છે. આ સમસ્યા છેલ્લા 20 વર્ષથી યથાવત છે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરે છે. પ્રી-મોન્સૂન કામગીરી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં સમસ્યા હલ થઈ નથી.
વાહનચાલકોને ભારે મુશ્કેલી
પાણી ભરાવાને કારણે અનેક વાહનો રસ્તામાં ફસાઈ ગયા છે, જેના કારણે લોકોને વાહનો છોડીને પગપાળા જવું પડી રહ્યું છે. અંડરપાસ બંધ થતાં ટ્રાફિક ડાયવર્ટ કરવો પડ્યો છે. આજે જન્માષ્ટમીના તહેવાર હોવા છતાં ભારે વરસાદને કારણે નાગરિકોને મુશ્કેલીમાં મુકાવું પડ્યું છે. આ પરિસ્થિતિએ AMCની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. આ મામલે AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિવાંગ દાણીનો પ્રતિભાવ પણ લેવામાં આવ્યો છે.

Leave a Reply