ગુજરાતભરમાં આજે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણના 5252મા જન્મોત્સવને લઇને રાજ્યના મુખ્ય કૃષ્ણ મંદિરોમાં ભક્તિનો મહાસાગર જોવા મળ્યો છે. દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખો ભક્તો ઉમટી પડ્યા છે. ‘નંદ ઘેર આનંદ ભયો’ અને ‘જય કનૈયાલાલકી’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે.
દ્વારકા: દ્વારકામાં ભક્તોએ દ્વારકાધીશજીના ખુલ્લા મંચ પર સ્નાન અભિષેકના દર્શન કર્યા. મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગે ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. સવારે 6 વાગ્યે મંગળા આરતી બાદ ખુલ્લા પડદે સ્નાન અભિષેક કરવામાં આવ્યો હતો.
ડાકોર: અહીં ભગવાન રણછોડરાયજીને મોગલ સામ્રાજ્યનો હીરાજડિત મુગટ અને વડોદરાથી લાવવામાં આવેલા કેવડાના ફૂલનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. મંદિરને 2500થી વધુ રંગબેરંગી ફુગ્ગાઓથી શોભાયમાન બનાવાયું છે. રાત્રે મધ્યરાત્રિએ જન્મોત્સવ મનાવવામાં આવશે અને બીજા દિવસે નંદ મહોત્સવ યોજાશે.
શામળાજી: અરવલ્લીના પ્રસિદ્ધ શામળાજી મંદિરમાં કાળિયા ઠાકરને 4 કરોડના મુગટ સહિત 15 કિલો સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા છે. અહીં શોભાયાત્રા, ભજન સંધ્યા અને મટકીફોડ જેવા કાર્યક્રમો પણ યોજાયા છે, જેમાં 108 મટકીઓ ફોડવામાં આવશે.

Leave a Reply