શિવપુરીમાં ભીષણ અકસ્માત: 4 ગુજરાતી કલાકારોનાં મોત, 7 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

શિવપુરીમાં ભીષણ અકસ્માત: 4 ગુજરાતી કલાકારોનાં મોત, 7 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં શનિવારે વહેલી સવારે નેશનલ હાઇવે-27 પર ભીષણ અકસ્માત થયો હતો. ટ્રક અને ટ્રાવેલર બસ વચ્ચે થયેલી ટક્કરમાં ચાર ગુજરાતી કલાકારોનાં કરુણ મોત થયા છે, જ્યારે સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત સવારે લગભગ 5.30 વાગ્યે બન્યો હતો.

મળતી માહિતી અનુસાર, 20 કલાકારોનું ગ્રુપ કાશી વિશ્વનાથમાં આયોજિત શિવકથા કાર્યક્રમમાં પોતાની કલા પ્રસ્તુતિ આપીને શુક્રવારે સાંજે પરત ફરી રહ્યું હતું. આ તમામ કલાકારો ગુજરાતના મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી હતા.

પ્રાથમિક તપાસમાં પોલીસે માન્યું છે કે ટ્રાવેલર બસના ડ્રાઇવરને ઝોકું આવી ગયું હતું, જેના કારણે બસ બેકાબૂ બનીને ડિવાઇડર પર ચડી ગઈ અને સામેથી આવી રહેલી ટ્રક સાથે જોરદાર અથડામણ થઈ. અકસ્માતમાં ગાયક હાર્દિક દવે (40)નું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે રાજા ઠાકુર (28), અંકિત ઠાકુર (17) અને રાજપાલ સોલંકી (60)એ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોમાં રાવલ મોહિત, આશિષ વ્યાસ, મોહલિક, નરેન્દ્ર નાયક, ચેતન કુમાર, ઋષિકેશ, વિપુલ, અરવિંદ, અર્જુન, હર્ષદ ગોસ્વામી અને ટ્રાવેલર બસના ડ્રાઇવરનો સમાવેશ થાય છે. સાત લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને ઇજાગ્રસ્તોની સારવાર જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ચાલી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published.