અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મેહેરબાન થયા છે. અસહ્ય ગરમી અને બફારાને કારણે પરેશાન થયેલા લોકો માટે વરસાદે રાહતનો શ્વાસ લાવ્યો છે. સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
ખાંભા શહેર તેમજ ગીરના ગામડાઓમાં પણ મેઘરાજા ખૂશખુશાલ થયા છે. ખાંભા, ડેડાણ, માલેકનેસ, રાણીગપરા, દાઢીયાળી, ચતુરી અને ભાવરડી સહિતના ગામોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે, કારણ કે પાકને જીવદાન મળ્યું છે.
સાવરકુંડલા અને ખાંભા બાદ જાફરાબાદ પંથકમાં પણ વરસાદી ઝાપટાં શરૂ થયા છે. જાફરાબાદના લોર, ફાચરીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા લોર ગામની શેરીઓમાં નદીઓ માફક પાણી વહેતા જોવા મળ્યાં. સતત વરસાદના કારણે ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે આ વરસાદ પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને આશા છે કે આ સિઝન ખેડૂતો માટે શુભ સાબિત થશે.

Leave a Reply