નવી દિલ્હી: સંસદના ગૃહમાં આજે વિપક્ષના સભ્યોએ બિહારમાં મતદાર યાદી સુધારણા (SIR) મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હોવા છતાં, આ હંગામા વચ્ચે અંતરિક્ષ ક્ષેત્રે ભારત માટે એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે સંસદમાં જણાવ્યું કે વર્ષ 2040માં એક ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્રની સપાટી પર ઉતરશે.
તેમણે કહ્યું કે આજે આખો દેશ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મિશનની સફળતાની ઉજવણી કરી રહ્યો છે, પરંતુ વિપક્ષ હજી પણ હોબાળો કરી રહ્યો છે અને ગૃહમાં ચર્ચા કરવા માટે તૈયાર નથી. જીતેન્દ્ર સિંહે પ્રશ્ન કર્યો કે, “વિપક્ષ અંતરિક્ષ યાત્રીથી કેવી રીતે નારાજ થઈ શકે?”
હંગામાને કારણે સંસદની કાર્યવાહી બે વખત સ્થગિત કરવી પડી હતી. બપોરે 2 વાગ્યે કાર્યવાહી ફરી શરૂ થતાં, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ “ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી – વિકસિત ભારત માટે 2047 સુધીમાં અંતરિક્ષ કાર્યક્રમની મહત્ત્વની ભૂમિકા” વિષય પર ચર્ચા શરૂ કરી હતી. આ ચર્ચા દરમિયાન જીતેન્દ્ર સિંહે અંતરિક્ષ ક્ષેત્રે ભારતના ભવિષ્ય વિશે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી.

Leave a Reply