જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પર આવેલ હોવાથી અતિ-સંવેદનશીલ માનવામાં આવે છે. જિલ્લામાં કુલ 11 દરિયાઈ ટાપુઓ આવેલ છે, જેમાંથી માત્ર પિરોટન ટાપુ પર માનવ વસાહત છે જ્યારે બાકી ટાપુઓ નિર્જન છે. આ ટાપુઓ પર ધાર્મિક સ્થળો હોવાને કારણે ધાર્મિક પ્રસંગો દરમિયાન અથવા દર્શનાર્થે લોકો અવરજવર કરતા હોય છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, આ નિર્જન ટાપુઓનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દાણચોરી, હથિયાર છુપાવવા અથવા નશીલા પદાર્થોના સંગ્રહ માટે થવાની સંભાવના છે. રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ આતંકવાદી તથા દેશદ્રોહી પ્રવૃત્તિઓ અટકાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં આ ટાપુઓ પર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જાહેરનામું 12 ઓક્ટોબર 2025 સુધી અમલમાં રહેશે. પ્રવાસીઓને પિરોટન ટાપુ પર જવા માટે મરીન નેશનલ પાર્ક, જામનગરના નાયબ વન સંરક્ષકની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે.
પ્રતિબંધિત ટાપુઓની યાદી:
ભેંસબીડ ટાપુ, દંડીકા ટાપુ, મુંડીકા ટાપુ, ઝિન્દ્રા ટાપુ, પિરોટન ટાપુ, અમુડી બેલા ટાપુ, બડા બેલા ટાપુ, કોદરા બેડ ટાપુ, જુના બેલા ટાપુ, સોસબારી અને ઘાખડી (નોવાડા) ટાપુ.

Leave a Reply