પુતિનના ‘પૂ બ્રીફકેસ’નો રહસ્ય : શા માટે રશિયા પરત લઈ જવાય છે મળ અને મૂત્ર?

પુતિનના ‘પૂ બ્રીફકેસ’નો રહસ્ય : શા માટે રશિયા પરત લઈ જવાય છે મળ અને મૂત્ર?

વિશ્વના શક્તિશાળી નેતાઓની સુરક્ષા વ્યવસ્થામાં અનેક અજાણી બાબતોનો સમાવેશ થાય છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના વિદેશ પ્રવાસો દરમિયાન એક અનોખી પ્રક્રિયા અમલમાં લેવામાં આવે છે, જેને આંતરરાષ્ટ્રીય મીડિયા ‘પૂ બ્રીફકેસ’ કહે છે. અહેવાલ મુજબ, પુતિન વિદેશમાં હોય ત્યારે તેમનો સુરક્ષા સ્ટાફ તેમના મળ અને પેશાબને ખાસ સીલબંદ પાઉચમાં ભેગા કરે છે અને રશિયા પરત લઈ જાય છે.

આ વ્યવસ્થા પાછળનું મુખ્ય કારણ પુતિનના આરોગ્ય સંબંધિત માહિતી ગુપ્ત રાખવું છે. મળ-મૂત્રમાંથી વ્યક્તિની આરોગ્યની અગત્યની વિગતો મળી શકે છે, જેમ કે કેન્સર, ડાયાબિટીસ અથવા અન્ય ગંભીર બીમારીઓની જાણકારી. જો આ માહિતી શત્રુ દેશોના હાથમાં લાગી જાય તો તેઓ પુતિનની શારીરિક ક્ષમતાઓ વિશે અંદાજ લગાવી શકે છે અને રાજકીય સ્તરે તેનો દુરુપયોગ કરી શકે છે.

આ પ્રથા નવી નથી. અહેવાલો મુજબ 1999થી, પુતિન સત્તામાં આવ્યા ત્યારથી આ પ્રક્રિયા ચાલુ છે. 2017માં ફ્રાન્સની મુલાકાત દરમિયાન પણ પુતિનના મળ-મૂત્રને બ્રીફકેસમાં સીલબંદ કરી રશિયા મોકલવામાં આવ્યું હતું. બીબીસી પત્રકારો અનુસાર, વિયેનાની મુલાકાત દરમિયાન પુતિન માટે ખાસ પોર્ટેબલ ટોઇલેટ ગોઠવવામાં આવ્યું હતું, જેથી જાહેર શૌચાલયનો ઉપયોગ ટાળવામાં આવે.

અહેવાલો મુજબ, માત્ર પુતિન જ નહીં પરંતુ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન પણ આવા જ પગલાં લે છે. 2018માં અમેરિકાના તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠકમાં કિમ પોર્ટેબલ ટોઇલેટ સાથે આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે આ વ્યવસ્થા એ દર્શાવે છે કે આધુનિક જમાનાની જાસૂસી જૈવિક સ્તરે પહોંચી ગઈ છે. નેતાના આરોગ્યના રહસ્યો એટલા જ મહત્ત્વના છે જેટલા દેશના પરમાણુ રહસ્યો.

 

Leave a Reply

Your email address will not be published.