યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ ગઈ છે. મંગળવારે (19 ઓગસ્ટ) મુંબઈમાં યોજાયેલી રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક બાદ ટીમના ખેલાડીઓના નામ જાહેર કરાયા. આ વખતની ટીમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સૂર્યકુમાર યાદવને ટીમનો કેપ્ટન બનાવાયો છે, જ્યારે શુભમન ગિલને વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. રિંકુ સિંહને પણ ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે હાર્દિક પંડ્યા, તિલક વર્મા અને અભિષેક શર્મા જેવા યુવા ખેલાડીઓ પર પણ વિશ્વાસ મૂકાયો છે. ખાસ વાત એ છે કે ટીમ ઈન્ડિયાના બોલર જસપ્રિત બુમરાહને પણ ટીમમાં સામેલ કરાયો છે.
ટીમમાં સામેલ ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો તેમાં સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટ કિપર), જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટ કિપર), હર્ષિત રાણા અને રિંકુ સિંહનો સમાવેશ થાય છે.
એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 28 સપ્ટેમ્બરે ફાઈનલ મેચ રમાશે. સમગ્ર ટૂર્નામેન્ટ યુએઈના બે શહેરો – અબૂધાબી અને દુબઈમાં યોજાશે અને તે ટી20 ફોર્મેટમાં રમાશે. ટૂર્નામેન્ટમાં ગ્રૂપ-એમાં ભારત, પાકિસ્તાન, ઓમાન અને યુએઈ જ્યારે ગ્રૂપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, હોંગકોંગ અને અફઘાનિસ્તાન સામેલ છે.
ભારતની ગ્રૂપ મેચોની વાત કરીએ તો પહેલી મેચ 10 સપ્ટેમ્બરે દુબઈમાં યુએઈ સામે, બીજી મેચ 14 સપ્ટેમ્બરે દુબઈમાં પાકિસ્તાન સામે અને ત્રીજી મેચ 19 સપ્ટેમ્બરે અબૂધાબીમાં ઓમાન સામે રમાશે. ત્યારબાદ સુપર-4 સ્ટેજ અને ફાઈનલ મેચો યોજાશે. દરેક ગ્રૂપમાંથી ટોચની બે ટીમો સુપર-4માં જશે અને ત્યાંથી ટોચની બે ટીમો વચ્ચે ફાઈનલ રમાશે.
આ ટૂર્નામેન્ટ UAEમાં યોજવાનું કારણ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ છે. પહલગામ હુમલા બાદ બંને દેશોએ 2027 સુધી એકબીજા સામે ત્રીજા દેશમાં જ રમવાની સહમતી આપી હતી. માર્ચમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભારતે પોતાની બધી મેચો દુબઈમાં રમી હતી અને ટાઇટલ જીતી લીધો હતો.

Leave a Reply