પીએમ મોદીના નહેરૂ પર પ્રહાર: ‘દેશ પછી પાણીના ભાગલા પાડ્યા’

પીએમ મોદીના નહેરૂ પર પ્રહાર: ‘દેશ પછી પાણીના ભાગલા પાડ્યા’

નવી દિલ્હીમાં યોજાયેલી એનડીએ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ પર આક્ષેપ કર્યા હતા. બેઠક દરમિયાન ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનનો ઔપચારિક પરિચય આપવામાં આવ્યો અને મોદીએ તેમને સન્માનિત કર્યા.

સંસદ લાઈબ્રેરી બિલ્ડિંગમાં યોજાયેલી આ બેઠકમાં મોદીએ આક્રમક નિવેદન આપતાં કહ્યું કે, “પંડિત જવાહરલાલ નેહરૂએ પહેલા દેશના ભાગલા પાડ્યા અને પછી પાણીના ભાગલા પાડ્યા. સિંધુ જળ સંધિ હેઠળ 80 ટકા પાણી પાકિસ્તાનને સોંપી દીધું. બાદમાં તેમણે પોતાના સચિવ મારફતે સ્વીકાર્યું કે આ નિર્ણયથી કોઈ લાભ થયો નથી અને આ સંપૂર્ણપણે ખેડૂત વિરોધી સમાધાન હતું.”

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ નેહરૂ પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, “વડાપ્રધાન મોદીએ ભારતના પ્રથમ વડાપ્રધાન નેહરૂ દ્વારા કરાયેલા હિમાલય બ્લન્ડરને સુધારવાનો પ્રયાસ કર્યો છે. નેહરૂએ આ સંધિ લેતી વખતે સંસદને વિશ્વાસમાં લીધા વિના માત્ર બે કલાકમાં નિર્ણય લીધો હતો, જે ઈતિહાસમાં હિમાલય બ્લન્ડર તરીકે ઓળખાય છે.”

સાથે જ મોદીએ એનડીએના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન વિશે જણાવ્યું કે, “રાધાકૃષ્ણન ઓબીસી સમાજમાંથી આવતા એક ગ્રાઉન્ડ લીડર છે. તેમણે રાજનીતિને ક્યારેય રમતની જેમ ન રમી. એનડીએ તરફથી તેમના નામની ભલામણ કરવા અમને ગર્વ છે.”

 

Leave a Reply

Your email address will not be published.