કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપ્યા બાદ આજે (19 ઓગસ્ટ) ‘પ્રધાનમંત્રી વિકસીત ભારત રોજગાર યોજના’નું સત્તાવાર પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટના રોજ આ યોજનાની જાહેરાત કરી હતી. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી મેળવનારાઓ માટે આ યોજના અનેક ફાયદા લઈને આવી છે.
યોજના હેઠળ પહેલી ઓગસ્ટથી નોકરી મેળવનારા લોકોને ઉમંગ એપ (Umang App) પર ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને UAN જનરેટ કરવું પડશે. નોકરીદાતાઓ pmvbry.epfindia.gov.in અથવા pmvbry.labour.gov.in પર એક વખત રજિસ્ટ્રેશન કરી શકશે. કેન્દ્ર સરકારે આ યોજના માટે એક લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જેના કારણે ત્રણ કરોડ યુવાઓને રોજગાર અને સોશિયલ સિક્યોરિટી મળશે.
આ યોજનાનો લાભ પહેલી ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2027 વચ્ચે નોકરી મેળવનારા યુવાઓને મળશે. યોજના માટે 99,446 કરોડ રૂપિયાનો ફંડ ફાળવવામાં આવ્યો છે. યોજના બે ભાગમાં વહેંચાઈ છે— પાર્ટ-એ અને પાર્ટ-બી. પાર્ટ-એ હેઠળ EPFOમાં પ્રથમવાર રજિસ્ટ્રેશન કરનાર કર્મચારીઓને એક મહિનાનો ઈપીએફ પગાર, વધુમાં વધુ ₹15,000 સુધી મળશે. આ રકમ બે હપ્તામાં મળશે— છ મહિના પૂરા થયા બાદ ₹7,500 અને એક વર્ષ બાદ ₹7,500. માત્ર તેઓ જ પાત્ર રહેશે, જેમનો પગાર મહત્તમ ₹1 લાખ હશે. પ્રોત્સાહન રકમનો એક ભાગ બચત ખાતામાં નિશ્ચિત સમયગાળા માટે રાખવામાં આવશે, જેને બાદમાં ઉપાડી શકાશે.
પાર્ટ-બી હેઠળ રોજગાર આપતા નોકરીદાતાઓને સતત છ મહિના સુધી પ્રત્યેક રોજગાર દીઠ દર મહિને ₹3,000ની રકમ અપાશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે આ પ્રોત્સાહક રકમ ત્રીજા અને ચોથા વર્ષ સુધી વધારવામાં આવી છે, એટલે કે 2029 સુધી લાભ મળશે. EPFO સાથે નોંધાયેલા નોકરીદાતાઓએ ઓછામાં ઓછા બે વધારાના કર્મચારીઓને (જો કર્મચારી સંખ્યા 50થી ઓછી હોય) અથવા પાંચ વધારાના કર્મચારીઓને (જો કર્મચારી સંખ્યા 50 કે તેથી વધુ હોય) નોકરી આપવી ફરજિયાત રહેશે.

Leave a Reply