બ્રિટનમાં જાતિવાદી હુમલાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં ત્રણ કિશોરોએ વૉલ્વરહૈમ્પ્ટન ખાતે બે વૃદ્ધ શીખોને નિર્દયી રીતે માર્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં હુમલાખોરો વૃદ્ધોને લાતો-ફેંટો મારતા તેમજ તેમને જમીન પર પટકતા જોવા મળી રહ્યા છે. હુમલા દરમિયાન એક શીખની પાઘડી પણ ઉતારી દેવામાં આવી હતી, જેને કારણે શીખ સમુદાયમાં ભારે રોષ ફેલાયો છે.
પોલીસે હુમલામાં સંડોવાયેલા ત્રણેય કિશોરોને ઝડપ્યા બાદ જામીન પર મુક્ત કરી દીધા છે. બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસએ આ ઘટનાની ગંભીરતા સાથે તપાસ શરૂ કરી છે અને જણાવ્યું કે આવી ઘટનાઓને કોઈપણ પરિસ્થિતિમાં સ્વીકારવામાં નહીં આવે.
ભારતમાં પણ આ ઘટનાને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે આ હુમલાને અમાનવીય ગણાવતા સોશિયલ મીડિયા પર નિવેદન આપ્યું છે. તેમણે વિદેશ મંત્રી એસ. જયશંકરને અપીલ કરી છે કે બ્રિટન સરકાર સમક્ષ આ મુદ્દો તાત્કાલિક ઉઠાવવામાં આવે, જેથી શીખ સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. બાદલે જણાવ્યું કે, શીખ સમાજ હંમેશાં સૌના હિત માટે કાર્યરત રહે છે અને વિશ્વભરમાં સન્માન અને સુરક્ષા મેળવવાનો અધિકાર ધરાવે છે.

Leave a Reply