ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને NDA અને વિપક્ષી I.N.D.I.A. ગઠબંધન વચ્ચે રાજકીય હલચલ વધી રહી છે. NDAએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે વિપક્ષ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય પર પહોંચ્યો નથી. સૂત્રો મુજબ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) માને છે કે ગઠબંધનનો ઉમેદવાર તમિલનાડુમાંથી ન હોવો જોઈએ. સાથે જ TMCએ આ ચૂંટણીમાં બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
TMCનું કહેવું છે કે આ ચૂંટણી ફક્ત પદ માટેની લડાઈ નથી, પરંતુ બંધારણ અને ‘આઈડિયા ઑફ ઈન્ડિયા’ને બચાવવાની લડાઈ છે. TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયને જણાવ્યું હતું કે મંગળવારે બપોરે 12:30 વાગ્યે મલ્લિકાર્જુન ખડગેના ઘરે I.N.D.I.A. ગઠબંધનની બેઠક યોજાશે અને સાંજ સુધીમાં મજબૂત ઉમેદવારના નામની જાહેરાત થશે તેવી આશા છે.
બીજી તરફ, NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનની રાજકીય કારકિર્દી લાંબી અને પ્રભાવશાળી રહી છે. તેઓ 31 જુલાઈ, 2024થી મહારાષ્ટ્રના રાજ્યપાલ છે અને તે પહેલાં ઝારખંડના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી હતી. રાધાકૃષ્ણન તમિલનાડુના વરિષ્ઠ ભાજપ નેતા છે અને ચાર દાયકાથી વધુનો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ બે વાર લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે અને તમિલનાડુ ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમનો RSSની વિચારધારા સાથે ગાઢ સંબંધ હોવાનું માનવામાં આવે છે.

Leave a Reply