અફઘાનિસ્તાનમાં બસ અકસ્માત બાદ લાગી આગ, 17 બાળકો સહિત 71 લોકોના મોત

અફઘાનિસ્તાનમાં બસ અકસ્માત બાદ લાગી આગ, 17 બાળકો સહિત 71 લોકોના મોત

અફઘાનિસ્તાનના પશ્ચિમ હેરાત પ્રાંતમાં મંગળવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 17 બાળકો સહિત 71 લોકોના મોત થયા. પ્રાંતીય સરકારના પ્રવક્તા અહમદુલ્લાહ મુત્તાકીએ જણાવ્યું હતું કે દેશનિકાલ કરાયેલા પ્રવાસીઓને કાબુલ લઈ જઈ રહેલી બસ, ટ્રક અને મોટરસાઇકલ સાથે અથડાઈ, જેના કારણે બસમાં આગ લાગી ગઈ.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બસમાં લાગી આગના દૃશ્યો દેખાઈ રહ્યા છે. પ્રાંતીય અધિકારી મોહમ્મદ યુસુફ સઈદીએ જણાવ્યું કે બસ ઈરાનથી દેશનિકાલ કરાયેલા અફઘાન નાગરિકોને લઈ જઈ રહી હતી, જેઓ ઇસ્લામ કાલા સરહદ પાર કરીને કાબુલ જઈ રહ્યા હતા. અકસ્માત ગુજારા જિલ્લામાં થયો હતો અને તેનું મુખ્ય કારણ બસની વધુ ગતિ અને બેદરકારી બતાવવામાં આવી રહ્યું છે.

પોલીસ મુજબ બસ પહેલા મોટરસાઇકલ સાથે અથડાઈ હતી અને પછી ઇંધણ ભરેલી ટ્રક સાથે અથડાતા આગ લાગી હતી. અકસ્માતમાં માત્ર ત્રણ મુસાફરો જ બચી શક્યા હતા. ટ્રક અને મોટરસાઇકલ પર સવાર ચાર લોકો પણ મોતને ભેટ્યા હતા.

અફઘાનિસ્તાનમાં માર્ગ અકસ્માતો વધતી જતી સમસ્યા છે, જેના મુખ્ય કારણોમાં ખરાબ રસ્તાઓ, ખતરનાક ડ્રાઇવિંગ અને નિયમોનું પાલન ન કરવું સામેલ છે. ગયા વર્ષે પણ મધ્ય અફઘાનિસ્તાનમાં ઇંધણ ટેન્કર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતોમાં 52 લોકોના જીવ ગયા હતા.

તાજેતરના મહિનાઓમાં ઈરાનની કડક નીતિને કારણે લાખો અફઘાન પ્રવાસીઓ દેશમાં પાછા ફર્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સ્થળાંતર એજન્સી અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં 1.6 મિલિયનથી વધુ લોકો ઈરાન અને પાકિસ્તાનમાંથી પરત આવ્યા છે. ઈરાનમાં વધતા ભેદભાવ અને સુરક્ષા ચિંતાઓને કારણે હજારો અફઘાનોને બળજબરીથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published.