અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ ચોંકાવનારી પરિસ્થિતિ
અમદાવાદના ખોખરા વિસ્તારમાં બનેલી ભયાનક ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકૂના ઘા મારી હત્યા કરી દીધી. પ્રાથમિક તપાસ મુજબ સ્કૂલમાં થયેલા ધક્કામુક્કી જેવા નાના ઝઘડાને કારણે આ ઘટના બની હતી.
મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાઢવામાં આવી. મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા અને મૃતકને ન્યાય મળે તેવી માંગ ઉઠાવી. યાત્રા દરમિયાન લોકોના આંખોમાં આંસુ અને આક્રોશ બંને જોવા મળ્યો. સુરક્ષા માટે પોલીસે ખાસ વ્યવસ્થા કરી હતી.
પ્રત્યક્ષદર્શીઓએ સ્કૂલ સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમના કહેવા મુજબ, હુમલા બાદ વિદ્યાર્થી 30 મિનિટ સુધી લોહી લુહાણ હાલતમાં તડફડતો રહ્યો છતાં કોઈ મદદે ન આવ્યું. હુમલો કરનાર વિદ્યાર્થી ચાકૂ મારીને ફરાર થઈ ગયો હતો.
આ ઘટના બાદ પરિવારજનો અને સમાજના લોકો ઉગ્ર બન્યા. સ્કૂલમાં ઘૂસી પ્રિન્સિપાલ અને શિક્ષકો સાથે ઝપાઝપી કરી અને ભારે તોડફોડ પણ કરી. વિરોધી લોકોએ રસ્તા રોકી ન્યાયની માંગણી કરી અને મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો.
સ્કૂલના એડમિનિસ્ટ્રેટર મયુરિકા પટેલે જણાવ્યું કે ઘટના સ્કૂલ બહાર બની હતી અને આરોપી વિદ્યાર્થી સામે પગલાં લેવાશે. બાળક છરી લઈને સ્કૂલમાં નહતો આવ્યો, તે બહાર રાખી આવ્યો હતો.
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી અને જણાવ્યું કે, નાની ઉંમરે હિંસક પ્રવૃત્તિ વધવી એ સામાજિક ચિંતાનો વિષય છે. માતા-પિતાએ બાળકો પર નજર રાખવી જોઈએ.
પોલીસે લોકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે. આરોપી વિદ્યાર્થીને અટકાયત કરીને જુવેનાઇલ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ DEOએ પણ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી સ્કૂલને નોટિસ ફટકારી છે અને તપાસ શરૂ કરી છે. હાલ શાંતિ જળવાઈ રહે તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે.

Leave a Reply