દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર લોકદરબાર દરમિયાન થયેલા હુમલા મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉત્તરી જિલ્લા પોલીસે આરોપી રાજેશ ખીમજીભાઈ સાકરિયા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1), 132 અને 221 સહિત કુલ ત્રણ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ હુમલાખોર ગુજરાતના રાજકોટનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાની તાત્કાલિક બાદ આરોપીને કાબૂમાં લઈ કોર્ટમાં હાજર કરવાની તૈયારી શરૂ કરી છે અને અઠવાડિયાના રિમાન્ડ મેળવવા પ્રયત્ન થશે. સંયુક્ત પોલીસ કમિશનર મધુર વર્માએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી તપાસમાં કોઈ સંગઠિત કાવતરાના પુરાવા મળ્યા નથી અને આરોપી એકલો જ હતો. જો આગળની તપાસમાં ગુનાહિત કાવતરાનો પુરાવો મળશે તો સંબંધિત કલમો પણ ઉમેરવામાં આવશે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આરોપી ફરિયાદના બહાને CM નજીક ગયો અને શરૂઆતમાં અમુક દસ્તાવેજો આપ્યા બાદ અચાનક જ બૂમો પાડવા લાગ્યો. તે દરમિયાન તેણે મુખ્યમંત્રી પર હુમલો કર્યો, જેના કારણે રેખા ગુપ્તાને માથામાં હળવી ઈજા થઈ હતી. હાલ તેઓ સુરક્ષિત છે. ભાજપના નેતાઓએ આ હુમલા પાછળ રાજકીય ષડયંત્ર હોવાની શક્યતા વ્યક્ત કરી છે.
41 વર્ષીય આરોપી રાજેશ વિશે તેના પરિવારજનો અને પડોશીઓએ જણાવ્યું કે તે માનસિક રીતે બીમાર છે. તેની માતા ભાનુ બહેનનું કહેવું છે કે, ‘રાજેશનું માનસિક સ્વાસ્થ્ય સારું નથી અને તે ઘરના સભ્યો પર પણ હુમલા કરતો હતો. અમે તેની સારવાર કરાવી શક્યા નથી.’ જોકે, તેમણે ઉમેર્યું કે રાજેશે પહેલાં ક્યારેય બહારની વ્યક્તિ પર હુમલો કર્યો નથી. રાજેશ રિક્ષા ચલાવે છે અને પશુપ્રેમી છે, તે પશુઓને ભોજન આપે છે.

Leave a Reply