સૌરાષ્ટ્રમાં માવઠાનો તાંડવ: ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ધોધમાર વરસાદ, અનેક ડેમ ઓવરફ્લો

સૌરાષ્ટ્રમાં માવઠાનો તાંડવ: ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ધોધમાર વરસાદ, અનેક ડેમ ઓવરફ્લો

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી માવઠાનો તાંડવ ચાલુ છે. ગીર સોમનાથના તાલાલા, ગીર ગઢડા, સુત્રાપાડા અને કોડીનારમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં તાલાલામાં 3 ઈંચ અને ગીર ગઢડામાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને કારણે તાલાલાના આંબળાસ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા અને ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા.

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અજાબ, અગતરાય અને માણેકવાડા સહિતના ગામોમાં પાણી ભરાઈ ગયા છે. ભાખરવડ ડેમ ઓવરફ્લો થતાં વડાળા, આંબેચા, ઉંઘતી, ઝડકા અને ધણેજ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મધુવંતી નદીમાં પણ પાણીની ભરપૂર આવક થતાં નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. ઓઝત-2, ઓઝત શાપુર અને ઓઝત વંથલી સહિતના જળાશયો ઓવરફ્લો થયા છે. ઓઝત શાપુરના 10 દરવાજા 0.20 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાની મહેરબાની જોવા મળી છે. રાજુલા અને જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ટીંબી ગામમાં ભારે વરસાદને કારણે રૂપેણ નદીમાં પૂર આવ્યું હતું. રાજુલાના ડુંગર, માંડળ અને બાલાપર વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે. ભાવનગર જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો છે, મહુવામાં માત્ર બે કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ વરસાદી સિસ્ટમ સક્રિય રહેતાં આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

 

Leave a Reply

Your email address will not be published.