નવી દિલ્હી: સંસદનું ચોમાસું સત્ર, જે 21 જુલાઈએ શરૂ થયું હતું અને એક મહિના સુધી ચાલ્યું હતું, આજે પૂર્ણ થયું. આ સત્ર દરમિયાન બિહારમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારા (SIR) પ્રક્રિયા મુદ્દે બંને ગૃહોમાં દરરોજ ઉગ્ર વિક્ષેપ અને હોબાળો જોવા મળ્યો હતો.
વિપક્ષના સતત હોબાળા અને વોકઆઉટ છતાં સરકાર પોતાના એજન્ડા પર આગળ વધી હતી અને લોકસભામાં 12 બિલ તથા રાજ્યસભામાં 15 બિલ પસાર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને, ગંભીર અપરાધોમાં ધરપકડ કરાયેલા વડાપ્રધાન, મુખ્ય પ્રધાનો અને પ્રધાનોને હટાવવાની જોગવાઈ ધરાવતા બિલને લઈને ભારે તંગદિલી જોવા મળી હતી. ગૃહ પ્રધાન અમિત શાહે આ બિલ રજૂ કર્યું ત્યારે વિરોધ પક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો અને બિલની નકલો ફાડી નાખી હતી, જેના કારણે સત્તા અને વિપક્ષના સભ્યો સામસામે આવી ગયા હતા.
સત્ર દરમિયાન ભારે હોબાળાને કારણે 84 કલાક બરબાદ થયા, જે 18મી લોકસભાના કોઈ પણ સત્રમાં સૌથી વધુ સમયનો વેડફાટ માનવામાં આવે છે. સત્રમાં ફક્ત 37 કલાક 7 મિનિટનું કામકાજ થયું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષની વર્તણૂકને બિનસંસદીય ગણાવી અને તેને કમનસીબ ગણાવ્યું હતું.
સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે આ ચોમાસું સત્ર સરકાર અને દેશ માટે ફળદાયી રહ્યું, જ્યારે વિપક્ષ માટે નિષ્ફળ સાબિત થયું.

Leave a Reply