ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઈસરો)એ પોતાના ભવિષ્યના આયોજન માટે વિઝન 2047 રજૂ કર્યું છે. અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર નીલેશ દેસાઈએ જણાવ્યું કે આગામી 15 વર્ષમાં એટલે કે 2040 સુધી ઈસરો 100થી વધુ સેટેલાઇટ્સ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે.
આ ઉપગ્રહોમાં મોટાભાગના પૃથ્વી અવલોકન ઉપગ્રહો હશે, જે જમીન, મહાસાગર અને વાયુમંડળના પ્રયોગો માટે ઉપયોગમાં લેવાશે. હાલ ઈસરો દર વર્ષે સરેરાશ 5-6 મિશન કરે છે, પરંતુ હવે આ સંખ્યા વધારીને 7-8 મિશન પ્રતિ વર્ષ સુધી લઈ જવામાં આવશે.
ઈસરોના અધ્યક્ષ વી. નારાયણનએ જણાવ્યું કે અંતરિક્ષ ક્ષેત્રમાં બદલાવ ઝડપથી આવી રહ્યો છે અને દેશની જરૂરિયાતો પૂરી કરવા માટે ઈસરોએ પોતાની ગતિ વધારવી જરૂરી છે. આ માટે ખાનગી અંતરિક્ષ કંપનીઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે, જે હાલમાં ભારતમાં 350થી વધુ છે અને નવીન પરિયોજનાઓ પર કામ કરી રહી છે.
નારાયણનએ વધુમાં જણાવ્યું કે ઈસરો સ્વદેશીકરણ પર ભાર આપી રહ્યું છે જેથી નેવિગેશન સિસ્ટમ માટે ઉપયોગમાં આવતી એટોમિક ક્લોક જેવી ટેકનોલોજી પણ ભારતમાં જ ઉત્પાદન કરી શકાય.
વિઝન 2047માં ભવિષ્યના મિશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમ કે ચંદ્રયાન-4 અને 5 (2027-28 સુધીમાં) નમૂના પાછા લાવવાના મિશન હશે, તેમજ 2040માં ચંદ્ર પર માનવ યુક્ત મિશન મોકલવામાં આવશે. આ ઉપરાંત મંગળ ગ્રહ માટેનું પ્રથમ લેન્ડર મિશન પણ રોડમેપમાં સામેલ છે.
ઈસરો આગામી સમયમાં 16 ટેકનોલોજી પ્રદર્શન મિશનો પણ કરશે જે તેની વધતી ક્ષમતા દર્શાવશે.

Leave a Reply