પંજાબના હોશિયારપુર-ઝાલંધર નેશનલ હાઇવે પર શુક્રવારે રાત્રે બનેલી ભીષણ દુર્ઘટનાએ હાહાકાર મચાવી દીધો. રાત્રે આશરે 10:45 વાગ્યે એક LPG ટેન્કર અને કાર વચ્ચે ભારે ટક્કર થઈ, જેના કારણે ગેસ લીક થયો અને ભયાનક વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી.
આગ એટલી ઝડપથી ફેલાઈ કે આસપાસના ચારથી પાંચ મકાનો અને 15થી વધુ દુકાનો ખાખ થઈ ગયા. ઘણા ગ્રામજનો આગમાં ફસાયા હતા, જેમાં ઘણા લોકો પોતાના ઘરમાં સૂતા હતા અને બહાર નીકળવાનો સમય ન મળ્યો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે જ્યારે 50થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.
સ્થાનિક લોકો મુજબ, ટેન્કરે કારને ટક્કર મારી હતી, ત્યાર બાદ ગેસ લીક થતાં જ મોટો ધડાકો થયો અને સમગ્ર વિસ્તારમાં આગ ફેલાઈ ગઈ.
તેજ હવાના કારણે ગેસ ઝડપથી ફેલાતો ગયો અને તેની સાથે આગ પણ વધતી ગઈ, જેના કારણે લોકો પોતાના જીવ બચાવવા ભાગતા જોવા મળ્યા.
બધા ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોશિયારપુરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 5-7 લોકોની સ્થિતિ અત્યંત ગંભીર છે અને તેમને અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા ઘટનાસ્થળે બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે અને ટ્રાફિક રોકી દેવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે અને દુર્ઘટનાનું કારણ જાણવા તપાસ શરૂ થઈ છે.

Leave a Reply