યુનાઈટેડ નેશન્સમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિક્કી હેલીએ ભારતને નવા સલાહ આપી છે. ટેરિફ અને રશિયાથી ક્રૂડની ખરીદી જેવા મુદ્દાઓને લઇને તેમણે જણાવ્યું કે, ભારતને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વાતને ગંભીરતાપૂર્વક લેવી જોઈએ અને શક્ય તેટલી ઝડપે વ્હાઈટ હાઉસ સાથે સંવાદ કરવો જોઈએ.
હેલીએ જણાવ્યું કે, વિશ્વના બે ટોચના લોકતંત્રો વચ્ચે દાયકાઓથી ચાલતી મિત્રતા અને વિશ્વાસને વર્તમાન મતભેદો ડગમગાવી શકતા નથી. વેપાર વિવાદ અને રશિયાથી ક્રૂડની આયાત જેવા મુદ્દાઓ પર સંવાદ જરૂરી છે. અમેરિકાને ચીનનો સામનો કરવા માટે ભારત જેવા મજબૂત મિત્રની જરૂર છે.
યાદ રહે કે, અગાઉ હેલીએ ભારતને ચીમકી આપતા જણાવ્યું હતું કે, રશિયન ક્રૂડ અને ટેરિફ વિવાદ બંને દેશોના સંબંધોમાં તિરાડનું કારણ બનવા જોઈએ નહીં. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે 1 ઓગસ્ટે ભારત પર 25 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. રશિયા પાસેથી ક્રૂડની ખરીદી મામલે પણ પેનલ્ટી લાગુ કરી, જે 27 ઓગસ્ટથી લાગુ થશે.
હેલીએ ચેતવણી આપી કે, સમયસર પગલાં ન લેવાય તો બેઈજિંગ આ તિરાડનો લાભ ઉઠાવી શકે છે. તેમણે ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે સીધી વાતચીત કરવાની અપિલ કરી છે, જેથી બંને દેશો વચ્ચેનો વેપાર અને ભાગીદારી મજબૂત રહેશે.

Leave a Reply