લોકસભામાં એવા ત્રણ બિલ પસાર થયા છે, જેમાં વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અથવા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના મંત્રીઓને ગંભીર ગુનામાં 30 દિવસથી વધુ જેલમાં રાખવામાં આવે તો તેમનું પદ પરત લેવા જોગવાઇ કરવામાં આવી છે. આ બિલો પસાર થયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. જ્યારે બિલ રજૂ થયું ત્યારે ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ સંસદમાં ભારે વિરોધ કર્યો હતો, જેના પરિણામે સરકારએ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) રચવાનો નિર્ણય કર્યો.
પરંતુ આ બિલને લઈને વિપક્ષમાં મતભેદ ઊભા થયા છે. એક તરફ ઈન્ડિયા ગઠબંધનના કેટલાક પક્ષોએ બિલનો જોરદાર વિરોધ કર્યો હતો, તો બીજી તરફ કેટલાક સાથી પક્ષો હવે પાછીપાની કરી રહ્યા છે. JPCમાં સામેલ થવા મામલે ત્રાટકેલા આ મતભેદને કારણે ભાજપને રાજકીય ફાયદો થતો જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓ JPCમાં પોતાની વાત રજૂ કરવા માંગે છે, જ્યારે TMC અને આમ આદમી પાર્ટીએ તેમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો છે. સમાજવાદી પાર્ટી અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે ગઠબંધન (UBT) પણ પાછળ હટતા જણાઈ રહ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ કોંગ્રેસ સાથી પક્ષોને મનાવવા માટે કવાયત કરી રહી છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, JPC ખૂબ જ મહત્વનું મંચ છે, જ્યાં વિપક્ષો પોતાની વાત રજૂ કરી શકે છે અને રિપોર્ટમાં તેમની વાત સામેલ થશે. કોંગ્રેસ હાલમાં DMK, RJD, JMM અને NCP (SP) સાથે સંપર્ક કરી રહી છે.
20 ઓગસ્ટે લોકસભામાં આ બિલ રજૂ થયું હતું. બિલના વિરોધમાં વિપક્ષે લોકસભાની વેલ સુધી ધસી જઈને સુત્રોચ્ચાર કર્યા હતા, બિલની કોપી ફાડી નાખી હતી અને ગૃહમંત્રી અમિત શાહ તરફ ઉછાળી હતી. વિવાદને કારણે સરકારએ બિલને JPCને સોંપવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. આ બિલ બંધારણના 130મા સંશોધન સાથે જોડાયેલું છે. વિવાદ દરમિયાન પરિસ્થિતિ એટલી ગંભીર બની કે ગૃહમંત્રીનું માઇક તોડવાનો પણ પ્રયાસ થયો હતો.

Leave a Reply