ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઝડપથી ઊભર્યું છે અને વૈશ્વિક નિકાસમાં મહત્વનો ફાળો આપી રહ્યું છે. એપલના આઈફોનની વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો હાલ આશરે 20 ટકા છે. આવામાં, એપલ ટૂંક સમયમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેનો નવો આઈફોન-17 લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેનું ઉત્પાદન તમિલનાડુમાં ફોક્સકોન ટેક્નોલોજી ગ્રૂપના પ્લાન્ટમાં થઈ રહ્યું છે. પરંતુ લોન્ચિંગ પહેલાં જ ચીને અચાનક આ પ્લાન્ટમાંથી તેના અંદાજે 300 એન્જિનિયરોને પરત બોલાવી લીધા છે, જેના કારણે નવા પ્રોજેક્ટની ગતિ પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.

અમેરિકન કંપની એપલ ભારતમાં ફોક્સકોન મારફતે આઈફોનનું ઉત્પાદન કરે છે. આ એન્જિનિયરો ફોક્સકોનની યુજાન ટેક્નોલોજી યુનિટમાં કાર્યરત હતા, જે જૂના આઈફોન મોડલ્સ માટે ઈનક્લોઝર અને ડિસ્પ્લે મોડયુલનું ઉત્પાદન કરતી હતી. મીડિયામાં આવેલા અહેવાલો અનુસાર, આ કર્મચારીઓને પાછા મોકલ્યા બાદ હવે તાઈવાનના એન્જિનિયરોને તેમની જગ્યાએ રાખવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
રિપોર્ટ મુજબ, આ પહેલીવાર નથી કે ચીને આવું પગલું ભર્યું હોય. આ વર્ષના પ્રારંભમાં પણ ફોક્સકોને ભારત સ્થિત પોતાની ફેક્ટરીમાંથી સૈંકડો ચીની એન્જિનિયરો અને ટેકનિશિયનોને પાછા બોલાવ્યા હતા. આથી એપલના ભારતમાં વિસ્તરણની ગતિ ધીમી પડી રહી છે.
અહેવાલો અનુસાર, ચીને મૌખિક રીતે તેના નિયામકો અને સ્થાનિક સરકારોને ભારત તેમજ દક્ષિણ-પૂર્વ એશિયામાં ટેક્નોલોજી ટ્રાન્સફર અને પાર્ટ્સની નિકાસ પર અંકુશ મૂકવા સંકેતો આપ્યા હતા, જેથી એપલના ઉત્પાદનનો આધાર ચીનમાંથી દૂર ન થાય. જોકે, તાજેતરમાં એન્જિનિયરોને પરત બોલાવવાના ચોક્કસ કારણો અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Leave a Reply