ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે, જેના પગલે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ડેમનું જળસ્તર 188.68 મીટરે પહોંચ્યું છે. અધિકારીઓએ માહિતી આપી છે કે ધરોઈ ડેમમાંથી 1,07,248 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે, જેનો પ્રવાહ આશરે 10થી 12 કલાકમાં અમદાવાદના સુભાષ બ્રિજ વિસ્તારમાં પહોંચી શકે છે. આના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા માટે લોકોને સૂચના આપવામાં આવ્યુ છે.
તે ઉપરાંત, ગાંધીનગરના સંત સરોવર ડેમમાંથી 27,282 ક્યુસેક પાણી અને વાસણા બેરેજમાંથી 30,836 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલમાં સાબરમતી કિનારા પરની વસાહતોમાં પૂરનો ખતરો રહેતા લોકોમા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અધિકારીઓને પણ સાવધાન રહેવા અને જરૂરી સુરક્ષાના પગલાં લેવામાટે સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સંત સરોવર ડેમના તમામ 21 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, કારણ કે ડેમમાં 66,215 ક્યુસેક પાણીની આવક થવાથી જળસ્તર 52.45 મીટર સુધી પહોંચી ગયું છે. પરિણામે સાબરમતી નદી હાલ બે કાંઠે વહી રહી છે.
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સંતોષકારક રહ્યું છે અને અત્યાર સુધીમાં સરેરાશ 27.50 ઈંચ વરસાદ સાથે રાજ્યમાં 80% વરસાદ નોંધાયો છે. 37 તાલુકાઓમાં 40 ઈંચથી વધુ વરસાદ થયો છે. હાલ રાજ્યના 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 78.82% છે, જેમાંથી 59 જળાશયો છલોછલ થયા છે અને 78 જળાશયો હાઈ એલર્ટ પર છે.

Leave a Reply