ભારતના ક્રૂડ ઓઈલના વપરાશને લઈને હાલ વૈશ્વિક સ્તરે ચર્ચા જોર પકડી રહી છે. અમેરિકાએ ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે અને 50 ટકા સુધીના ટેરિફ લાદ્યા છે. આ પરિસ્થિતિમાં રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે સ્પષ્ટ જણાવ્યું કે ભારત પોતાની ઊર્જાની જરૂરિયાતો અને આર્થિક હિતોને ધ્યાને રાખીને જ કોઈપણ દેશ પાસેથી ઓઈલ ખરીદી કરશે. તેમણે જણાવ્યું કે ભારતીય કંપનીઓ હંમેશા એવી જગ્યાએથી ઓઈલ ખરીદશે જ્યાં તેમને શ્રેષ્ઠ સોદો (બેસ્ટ ડીલ) મળશે.
વિનય કુમારે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ભારત 1.4 અબજ નાગરિકોના હિતોને પ્રથમ પ્રાથમિકતા આપે છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફને તેઓ “અન્યાયી, ગેરવાજબી અને ખોટો નિર્ણય” ગણાવીને કહ્યું કે ભારત સરકાર ક્યારેય રાષ્ટ્રીય હિત અને સુરક્ષાના મુદ્દે સમાધાન કરશે નહીં. તેમણે ઉમેર્યું કે વૈશ્વિક ક્રૂડ બજારમાં સ્થિરતા લાવવા માટે ભારત રશિયા સહિતના અનેક દેશો સાથે મળીને સહકાર આપતું રહેશે.
રાજદૂત વિનય કુમારે વધુમાં જણાવ્યું કે દુનિયામાં કોઈપણ વેપાર સારા સોદા અને આર્થિક પરિસ્થિતિઓ પર આધારિત હોય છે. એટલા માટે, ભારત તે જ જગ્યાએથી ક્રૂડ ઓઈલ ખરીદશે જ્યાંથી તેને શ્રેષ્ઠ અને યોગ્ય સોદો મળશે. તેમના જણાવ્યા મુજબ, ભારત અને રશિયા વચ્ચેનો વેપાર માત્ર બજાર આધારિત જ નથી પરંતુ બંને દેશોની પરસ્પર સમજણ અને લોકહિત સાથે પણ જોડાયેલો છે.
થોડા દિવસો પહેલા ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ સ્પષ્ટ કર્યું હતું કે ભારત પોતાની વેપાર નીતિ, ખેડૂતોના હિતો અને રાષ્ટ્રીય સાર્વભૌમત્ત્વ પર કોઈ સમાધાન સ્વીકારશે નહીં. તેમણે કહ્યું કે સરકાર હંમેશા આ હિતોને સુરક્ષિત કરવા માટે જરૂરી દરેક પગલું ભરશે. આ રીતે, ભારતે વિશ્વને સાફ સંદેશો આપ્યો છે કે તેની ઊર્જા નીતિ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને જ નક્કી કરવામાં આવશે.

Leave a Reply