વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઑગસ્ટે બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે રાજ્ય તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. અમદાવાદ આગમન બાદ વડાપ્રધાન એરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી અંદાજે દોઢ કિલોમીટર લાંબો રોડ શો કરશે. આ માર્ગ પર વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખાસ સ્ટેજ તૈયાર કરાયા છે. રોડ શો પૂર્ણ થયા બાદ નરેન્દ્ર મોદી નિકોલ ખાતે જાહેરસભાને પણ સંબોધિત કરશે.
આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન કુલ રૂ. 5477 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જેમાં માત્ર અમદાવાદમાં જ રૂ. 2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને રૂ. 916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાશે. ખાસ કરીને, રૂ. 133 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રામાપિરના ટેકરો, સેક્ટર-3 ખાતે આવેલી ઝૂંપડપટ્ટીના વિકાસકાર્યનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ સહિત અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની શરૂઆત થશે.
અમદાવાદ (પશ્ચિમ)માં સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. સાથે જ, શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા અને આધુનિક માળખાગત સુવિધા ઉભી કરવા માટે ચાર-માગીય મુખ્ય માર્ગોને છ-માગીયમાં રૂપાંતરિત કરવાના પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે હાઈબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ બે તબક્કામાં પૂરા થશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 1624 કરોડ રહેશે.
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પણ વડાપ્રધાન રૂ. 555 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેક્ટ્સ રાજ્યની ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ અને શહેરી સુવિધાઓમાં મોટો ફાળો આપશે, જેનાથી ગુજરાતના વિકાસમાં નવી ગતિ આવશે.

Leave a Reply