અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ એક અઠવાડિયા પછી શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હાલ પૂરતું તે ઓનલાઈન મોડમાં જ રહેશે. ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસિસ શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે ધોરણ 1 થી 5 માટે હજી સુધી કોઈ શિક્ષણ કાર્ય શરૂ કરાયું નથી.
વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારીએ મોટો નિર્ણય લીધો છે. DEO કચેરીના ચાર અધિકારીઓની એક ટીમ સ્કૂલમાં ડેપ્યુટ કરવામાં આવી છે, જે વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ કરશે અને જો વાલીઓ પોતાના બાળકને સેવન્થ ડે સ્કૂલમાંથી કાઢીને અન્ય શાળામાં દાખલ કરવા માંગે, તો તેમને મદદ કરશે.
સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે હાલમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) વિના પણ પ્રોવિઝનલ એડમિશનની સુવિધા આપવામાં આવશે. મણિનગર અને આસપાસની શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ આપે. વાલીઓ સીધા DEO કચેરીનો સંપર્ક કરીને પોતાના બાળકને બીજી શાળામાં દાખલ કરી શકશે, જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં.
ઘટનાનો પર્દાફાશ:
ધોરણ-8ના વિદ્યાર્થીએ 7-8 મિત્રો સાથે મળીને ધોરણ-10ના વિદ્યાર્થી પર હુમલો કર્યો અને તેને ચપ્પાથી ઘાયલ કર્યો. આ હુમલો જૂના ઝઘડાના બદલા રૂપે કરવામાં આવ્યો હતો. ઘટનામાં ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

Leave a Reply