એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજના ઘર સહિત 13 સ્થળોએ દરોડા પાડ્યા છે. દિલ્હીની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB)એ જૂનમાં પૂર્વ આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન સામે કેસ નોંધ્યો હતો, જેમાં AAP સરકાર દરમિયાન આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. બાદમાં આ કેસ ઈડીને ટ્રાન્સફર થયો અને એજન્સીએ જુલાઈમાં કેસ નોંધ્યો.
અહેવાલો મુજબ, 5,590 કરોડ રૂપિયાના કથિત કૌભાંડમાં AAP સરકારના બે આરોગ્ય મંત્રીઓની ભૂમિકા તપાસ હેઠળ છે. ઈડી મુજબ, આમ આદમી પાર્ટી સરકારે 2018-19માં 24 હોસ્પિટલ પ્રોજેક્ટ્સ મંજૂર કર્યા હતા, જેમાં છ મહિનામાં ICU હોસ્પિટલ બનાવવા યોજના હતી. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 50% કામ થયું છે, જ્યારે 800 કરોડ રૂપિયા કરતા વધુ ખર્ચ થઈ ગયો છે.
ઈડીની તપાસમાં ખુલ્યું કે લોકનાયક હોસ્પિટલના બાંધકામ ખર્ચમાં ભારે વધારો થયો છે – 488 કરોડથી વધીને 1,135 કરોડ રૂપિયા થયો. સાથે જ ઘણી હોસ્પિટલોમાં યોગ્ય મંજૂરી વિના બાંધકામ શરૂ કરવામાં આવ્યા હતા.
ACBની ફરિયાદ અનુસાર, હોસ્પિટલ, પોલીક્લિનિક અને ICU ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં મોટી અનિયમિતતાઓ જોવા મળી છે, બિનજરૂરી વિલંબ અને ભંડોળના મોટા પાયે દુરુપયોગ થયો છે. ખર્ચમાં કરોડો રૂપિયાનો વધારો થયો હોવા છતાં, એકપણ પ્રોજેક્ટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થયો નથી.

Leave a Reply