હિમાચલમાં ભારે વરસાદ: 300 વર્ષ જૂનું પંજવક્તર મહાદેવ મંદિર પૂર હેઠળ, નાગરિકો માટે એલર્ટ

હિમાચલમાં ભારે વરસાદ: 300 વર્ષ જૂનું પંજવક્તર મહાદેવ મંદિર પૂર હેઠળ, નાગરિકો માટે એલર્ટ

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે, જે રાજ્યના મંડિ, કાંગડા, ચંબા અને કુલ્લુ જિલ્લાઓમાં ખાસ કરીને ગંભીર બની છે. મંડિમાં બિયાસ નદીનું જળસ્તર સતત વધતાં નદી કિનારે આવેલા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ઐતિહાસિક પંજવક્તર મહાદેવ મંદિરનો મોટો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સ્થાનિક લોકો જણાવે છે કે આ મંદિર લગભગ 300 વર્ષ જૂનું છે અને દર વર્ષે અહીં હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે.

ભારત હવામાન વિભાગ (IMD)એ મંડિ, કાંગડા અને ચંબા જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 48 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. પ્રશાસને લોકોને નદી-નાળા પાસે ન જવા અને અનાવશ્યક મુસાફરી ટાળવા માટે કહ્યુ છે.

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અનુસાર, બે રાષ્ટ્રીય રાજમાર્ગો સહિત લગભગ 795 રસ્તાઓ ભૂસ્ખલન અને ભારે વરસાદના કારણે બંધ થઈ ગયા છે. ઘણા વિસ્તારોમાં વીજળી અને પાણીની પુરવઠા પણ ખોરવાયો છે, જેમાં 956 વીજ ટ્રાન્સફોર્મર અને 517 પીવાના પાણીની યોજનાઓ અસરગ્રસ્ત બની છે.

મંડિ, કાંગડા, ચંબા, બિલાસપુર અને કુલ્લુ જિલ્લાઓમાં જિલ્લા પ્રશાસકો દ્વારા ઘણી જગ્યાએ સ્કૂલ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવામાન વિભાગે ચોમાસાની અસર હજુ વધવાની શક્યતા દર્શાવી છે, તેથી ભૂસ્ખલન, પૂર અને વાદળ ફાટવાની ઘટનાઓ માટે લોકો સાવચેત રહેવા અને જરૂરી હોય તો સુરક્ષિત સ્થળોએ ખસી જવાની સલાહ આપી છે.

 

Leave a Reply

Your email address will not be published.