યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મળેલી શુભકામનાઓ બદલ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે યુક્રેનને વિશ્વાસ છે કે ભારત રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા X પોસ્ટમાં લખ્યું કે યુક્રેન શાંતિ અને સંવાદ પ્રત્યે ભારતના સમર્પણને બિરદાવે છે. તેમણે વધુમાં કહ્યું કે દુનિયા જ્યારે આ ભયાવહ યુદ્ધનો અંત લાવવા અને સ્થાયી શાંતિ સ્થાપિત કરવા પ્રયત્નશીલ છે, ત્યારે ભારતનો યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. તેમના અનુસાર, વ્યૂહાત્મક નિર્ણયો માત્ર યુરોપમાં જ નહીં, પણ હિંદ-પેસેફિક ક્ષેત્રની સુરક્ષામાં પણ વધારો કરે છે.
વડાપ્રધાન મોદીએ 16 ઓગસ્ટે યુક્રેનના લોકો માટે શાંતિ અને પ્રગતિશીલ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. પીએમ મોદીએ ઝેલેન્સ્કીની શુભેચ્છાઓ બદલ પ્રતિભાવ આપતા X પર લખ્યું હતું કે, “ભારત અને યુક્રેન વચ્ચે વધુ ગાઢ સંબંધો બનાવવા માટેની સંયુક્ત પ્રતિબદ્ધતાની હું પ્રશંસા કરું છું. યુક્રેનના મિત્રોને શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિથી ભરેલું ભવિષ્ય ઈચ્છીએ છીએ.”

ઝેલેન્સ્કીએ મંગળવારે વડાપ્રધાન મોદીની તરફથી મળેલો પત્ર પણ જાહેર કર્યો, જેમાં પીએમ મોદીએ યુક્રેનને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે, ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે અને સંવાદ તથા રાજદ્વારી દ્વારા યુદ્ધના વહેલા અને સ્થાયી ઉકેલ માટેના પ્રયત્નોને સંપૂર્ણ સમર્થન આપશે. પીએમ મોદીએ ઉમેર્યું કે ગયા વર્ષે કિવની મુલાકાતને યાદ કરીને તેઓ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે આતુર છે.

Leave a Reply