ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંગેની ચર્ચા હાલ અટકેલી હોવા છતાં, પૂર્વ વિદેશ સચિવ અને રાજ્યસભા સાંસદ હર્ષવર્ધન શૃંગલાએ આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં આ કરાર પૂર્ણ થશે. શૃંગલાના મતે, આ એગ્રીમેન્ટથી બંને દેશોના આર્થિક અને રાજનૈતિક સંબંધો વધુ મજબૂત બનશે અને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત ભારત મુલાકાતને વધુ મહત્વ મળશે.
શૃંગલાએ જણાવ્યું કે, “ભારત અને અમેરિકા પરસ્પર હિતોને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં સંતોષકારક અને પરસ્પર લાભદાયક એફટીએને અંતિમ સ્વરૂપ આપશે. આ પગલું દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ આપશે.”
ત્યારે બીજી તરફ, અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર 25% વધારાનો ટેરિફ લાગુ કર્યો છે, જેના કારણે કુલ ટેરિફ 50% સુધી પહોંચી ગયો છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિયેટિવ (GTRI) મુજબ, આ પગલાની અસર ભારતની અમેરિકા જતી $60.2 બિલિયનની નિકાસ પર પડશે. ખાસ કરીને ટેક્સટાઈલ્સ, જેમ્સ-જ્વેલરી, શ્રિમ્પ, કાર્પેટ્સ અને ફર્નિચર જેવા શ્રમ-આધારિત ક્ષેત્રો પર ગંભીર અસર થવાની શક્યતા છે, જેના કારણે નિકાસમાં 70% સુધી ઘટાડો થઈ શકે છે અને લાખો કામદારોની રોજગારી જોખમમાં પડશે.
શૃંગલાએ જણાવ્યું કે ભારત આ પડકારનો સામનો કરવા વિકલ્પો શોધી રહ્યું છે. હાલમાં ભારત પાસે ઓસ્ટ્રેલિયા, યુએઈ અને યુકે સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ છે, અને યુરોપિયન યુનિયન સાથેનો કરાર પણ ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા છે. આથી ભારત પોતાના નિકાસને વૈકલ્પિક બજારો તરફ મોડી શકે છે.
ભારત-અમેરિકા સંબંધો અંગે શૃંગલાએ કહ્યું, “આ સંબંધ બહુઆયામી છે અને સામાન્ય મૂલ્યો તથા સિદ્ધાંતોની તાકાત તેને કોઈપણ ઉતાર-ચઢાવમાંથી બહાર કાઢશે.” તેમણે અમેરિકામાં ભારતના નવા એમ્બેસેડર તરીકે સર્જિયો ગોરની નિમણૂકને પણ સકારાત્મક પગલું ગણાવ્યું.

Leave a Reply