જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે પૂરનો હાહાકાર : 10ના મોત, વૈષ્ણો દેવી યાત્રા સ્થગિત

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે પૂરનો હાહાકાર : 10ના મોત, વૈષ્ણો દેવી યાત્રા સ્થગિત

જમ્મુ-કાશ્મીરમાં સતત ભારે વરસાદ અને વાદળ ફાટ્યાની ઘટના બાદ રાજ્યમાં ભારે વિનાશ સર્જાયો છે. ઉંચાઇવાળા વિસ્તારોમાંથી ખડકો, વૃક્ષો અને પથ્થરો તૂટી પડતાં 10 લોકોના જીવ ગયા છે, જેમાં વૈષ્ણો દેવી માર્ગ પર થયેલા ભૂસ્ખલનમાં 6 તીર્થયાત્રીઓ પણ શામેલ છે.

સતત વરસતા વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીર ખીણમાં ભારે નુકસાન થયું છે. અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે વૈષ્ણો દેવી મંદિરની યાત્રા તાત્કાલિક સ્થગિત કરી દેવામાં આવી છે. અનેક પુલ તૂટી પડ્યા છે, જ્યારે મોબાઇલ ટાવર અને વીજળીના થાંભલાઓ ધરાશાયી થતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગંભીર નુકસાન થયું છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં ટેલિકોમ સેવાઓ ઠપ થઇ જતાં લોકો ફોન કૉલ અને ઇન્ટરનેટ ઉપયોગ માટે પરેશાન થઈ રહ્યા છે. મંગળવારે અનેક નદીઓ છલકાઇ ગઇ હતી અને પાણીના શક્તિશાળી પ્રવાહમાં રસ્તાઓ પરના અવરોધો વહેતા થયા હતા.

જમ્મુ-કાશ્મીર અને કિશ્તવાડ-ડોડા નેશનલ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે ભૂસ્ખલન અને પૂરના કારણે પર્વતીય માર્ગો અવરોધિત થયા છે. અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. ત્રિકુટા પર્વત પર બપોરે 3 વાગ્યે થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 6 લોકોનાં મોત થયા છે અને 14 લોકો ઘાયલ છે. મૃતકોની સંખ્યા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડોડા જિલ્લામાં વરસાદ આધારિત ઘટનાઓમાં અન્ય 4 લોકોનાં મોત થયાં છે. મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહે પરિસ્થિતિને ગંભીર ગણાવી છે અને તરાના, ઉજ્હ, તવી અને ચિનાબ નદીઓ ખતરનાક સ્તરે વહેતા હોવાથી પોલીસે આસપાસના વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસવાની અપીલ કરી છે.

ભારે વરસાદને કારણે ઓપ્ટિકલ ફાઇબરને નુકસાન થતાં ટેલિકોમ સર્વિસ ઠપ થઇ ગઇ છે. બીજી તરફ, હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદથી પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. દુકાનો પાણીમાં ગરકાવ થઇ ગઇ છે, બિલ્ડિંગો ધરાશાયી થયા છે અને રાજ્યમાં 690 રોડ બંધ કરી દેવામાં આવ્યા છે.

 

 

Leave a Reply

Your email address will not be published.