મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે. ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, બિલીમોરા અને વાપી સ્થિત 8 સ્ટેશનોના સ્ટ્રક્ચરલ કામ પૂર્ણ થઈ ચૂક્યા છે, અને હાલમાં આંતરિક સજાવટ અને સ્ટેશન સુવિધાઓ જેવી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
સ્ટેશનો શહેરની સાંસ્કૃતિક ઓળખ દર્શાવે તે રીતે વિશિષ્ટ ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવ્યા છે. ઊર્જા બચાવવા માટે કેટલાક સ્ટેશનો પર સોલાર પેનલો લગાવવામાં આવ્યા છે, પ્લેટફોર્મ વિસ્તારોમાં પૂરતો કુદરતી પ્રકાશ અને હવાની અવરજવર સુનિશ્ચિત કરવામાં આવી છે. ભૂગર્ભ જળ રિચાર્જિંગ કૂવામાંથી વરસાદી પાણી સંચય અને ગટરના પાણીની શુદ્ધિકરણ માટે (STP) પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.
મુસાફરોની સુવિધા માટે દરેક સ્ટેશન પર લિફ્ટ અને એસ્કેલેટર, આરામદાયક બેઠકો, બિઝનેસ ક્લાસ લાઉન્જ, નર્સરી અને બાળકો માટેની સંભાળ સુવિધાઓ, ખાદ્ય કિઓસ્ક, રિટેલ કાઉન્ટર અને અન્ય સર્વિસીસ ઉપલબ્ધ રહેશે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સાબરમતી અને સુરતના સ્ટેશનો મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે, જ્યાં બુલેટ ટ્રેન, રેલવે, મેટ્રો, બસ, ટેક્સી, ઓટો અને સ્થાનિક પરિવહન વચ્ચે સરળ કનેક્ટિવિટી રહેશે.
ટ્રાન્ઝિશનનો સમય ઘટાડવા માટે પાર્કિંગ અને મુસાફરો માટે વધારાની સુવિધાઓ પણ વિકસાવવામાં આવી રહી છે. આ સ્ટેશનો મુસાફરો માટે આરામદાયક, સુરક્ષિત અને ઝડપી પ્રવાસના નવા માપદંડ સ્થાપિત કરશે.

Leave a Reply