મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરાર પૂર્વ વિસ્તારમાં મંગળવારની મોડી રાત્રે ચાર માળની ઇમારત ધરાશાયી થઈ જતાં ભારે હાહાકાર મચ્યો. રમાબાઈ એપાર્ટમેન્ટ નામની આ ઇમારતનો એક ભાગ અચાનક તૂટી પડતાં ત્રણ લોકોનાં મોત થયાં છે, જ્યારે આશરે 20 થી 25 લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ચોથા માળ પર એક વર્ષની બાળકીના જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી. અચાનક બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થતાં કાટમાળમાં અનેક લોકો દટાયા. ઘટના બાદ તરત જ પોલીસ, ફાયર બ્રિગેડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી.
હાલ સુધીમાં પાંચ લોકોને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢી નજીકની VVCMC હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બિલ્ડિંગમાં કુલ 12 પરિવારો રહેતા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર બિલ્ડિંગ જૂનું હતું અને સતત વરસતા વરસાદને કારણે દીવાલોમાં તિરાડો પડી ગયેલી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બિલ્ડિંગની બીજી વિંગને પણ ખાલી કરાવવામાં આવી છે.
બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે અને નુકસાનનું આંકલન કરવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને બિલ્ડિંગને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યું છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા તમામ તંત્રો તત્પરતાથી કાર્યરત છે.

Leave a Reply