સરદાર સરોવર ડેમ છલકાવાની તૈયારીમાં, નર્મદા નદી વિસ્તાર માટે એલર્ટ જાહેર

સરદાર સરોવર ડેમ છલકાવાની તૈયારીમાં, નર્મદા નદી વિસ્તાર માટે એલર્ટ જાહેર

ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં છે. ડેમમાં હાલની પાણીની સપાટી 135.65 મીટર પહોંચી ગઈ છે, જ્યારે મહામ લેવલ 138.68 મીટર છે. ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે 1.72 લાખ ક્યુસેક પાણી આવક થઈ રહી છે, જે કારણે સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે.

જળના પ્રવાહને નિયંત્રિત કરવા માટે ડેમના કેટલાક દરવાજા 28 ઓગસ્ટે સવારે 8 વાગ્યાથી ખોલવામાં આવશે. દરવાજા ખોલ્યા બાદ મહામ લેવલથી 50 હજાર ક્યુસેક અને રિવરબેડ પાવર હાઉસ દ્વારા 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે, જેથી કુલ 95 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં પહોંચશે. આ પગલાંને લીધે નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠાવાળા ગામોના લોકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.

અત્યાર સુધી ડેમમાં પાણીનો ગ્રોસ સ્ટોરેજ 8512 એમસીએમ થયો છે અને ડેમ 90 ટકા ભરાઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 100 સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે. નર્મદા નદીમાં પાણીની જાવક 44,024 ક્યુસેક છે, જ્યારે કેનાલમાં 5,242 ક્યુસેક પાણી વહે રહ્યું છે.

ગુજરાતમાં હાલ 70 જળાશયો 100 ટકાથી વધુ ભરાઈ ચુક્યા છે, જ્યારે 65 જળાશયો 70% થી 100% વચ્ચે છે. 25 જળાશયો 50% થી 70% ભરાયેલા છે. રાજ્યમાં કુલ 95 જળાશયો હાઈએલર્ટ હેઠળ છે, જ્યારે 23 જળાશયો એલર્ટ હેઠળ છે.

 

Leave a Reply

Your email address will not be published.